ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
રોજે રોજ ગુજરાત માં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદના નરોડામાં ઘરમાં ઘૂસીને 11.80 લાખની લૂંટ
અમદાવાદ જાણે લૂંટારાઓ માટે સ્વર્ગ બની ગયું છે અને પોલીસનો કોઈને ભય ન રહ્યો તેમ લૂંટારાઓ લૂંટ કરી રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે નરોડા મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાંથી વેપારીના હાથમાંથી રૂ.11.80 લાખ રોકડ ભરેલી બેગ લૂંટી બાઈક પર આવેલા બે લુંટારૂ પળવારમાં ફરાર થઈ ગયા હતા.

લૂંટારા માટે સ્વર્ગ બની ગયું છે અમદાવાદ
નોંધનીય છે કે ભાગ્યોદય સોસાયટીની લૂંટની જેમ જ થોડા દિવસ અગાઉ એક જ રાતમાં વટવા રોકડા બ્રિજ પાસે એક દંપતી તથા દરિયાપુર મસ્કતી માર્કેટ પાસે શેરબજારની ઓફિસમાં કામ કરતા કર્મચારી પાસેથી પણ કુલ 13 લાખની લુંટ કરાઈ હતી. નરોડામાં રહેતા વેપારી ભરતભાઇ પટેલ ગાડી લઇને ઘરે આવ્યા ત્યારે જાણે તેમની રાહ જોઇને ઘર આંગણે જ ઉભા રહ્યા હોય તેમ બે લૂંટારુઓ તેમની ગાડીમાંથી રૂ.11.80 લાખ ભરેલી બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જે જોતા લાગી રહ્યું છે કે અમદાવાદ ધીરે ધીરે લૂંટારા માટે સ્વર્ગ બની રહ્યું છે.

સીએમ રૂપાણીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત
રાજકોટના પશ્વિમ વિસ્તારની બેઠકના ધારાસભ્ય વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટથી જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હું રાજકોટ શહેરથી જ આગળ વધ્યો છું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભાજપના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને વિવિધ જ્ઞાતિ સમુદાયો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેટોનું કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વાર રાજકોટ આવેલા વિજયરૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કીટીપરા ખાતે રૂ.12 કરોડના ખર્ચે 7000 ચો.મી. જગ્યામાં તૈયાર કરાયેલા જી પ્લસ કેટેગરીના 307 ફ્લેટના લોકાર્પણનો કર્યું હતું.

ગીર સોમનાથમાં ગાયોના ટોળાં વચ્ચે ઘૂસી સિંહે કર્યું મારણ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકાના કુકરાશ ગામમાં ચાર સિંહોએ ગાયોના ટોળાં વચ્ચે ઘૂસીને બે ગાયનું મારણ કર્યું હતું. તેમજ એક ગધેડાને ઇજા પહોંચાડી હતી. હમણાથી ઘણી વાર વસ્તીમાં આવી ચઢતા સિંહોન પરિણામે પશુપાલકો ચિંતિત બની ગયા છે. અને ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ વ્યાપી ગયું છે.

ધોળકાની યુવતીએ પ્રેમી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું
અમદાવાદની નજીક આવેલા ધોળકાની 21 વર્ષીય યુવતી પાયલ ભીખાભાઇ કારેલિયાએ નારોલમાં રહેતા ખોડીદાસ ગણપતભાઇ રાઠોડ (ઉ.26) સાથે સાબરતીમાં ઝંપલાવ્યુ હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પાયલ ચાંદખેડામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નર્સ હતી. જ્યારે યુવક ખોડીદાસ કોલેજ સ્ડૂટન્ડ હતો. હાલ પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.જોકે પ્રાથમિક નજરે આ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા ચાલી રહી છે.

સીએમ રૂપાણીના 11 વાગ્ય બાદના કાર્યક્રમો
ફ્લેટના લોકાર્પણના કાર્યક્રમ બાદ રૈયા રોડ પર આલાપગ્રીન સીટી પાસે 4632 ચો.મી. જગ્યામાં રૂ.27.70 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 774 સીટની બેઠક વ્યવસ્થા ધરાવતા અને હોલમાં 180 સીટની બેઠક વ્યવસ્થા ધરાવતા ઓડીટોરીયમનું સવારે 11.15 થી 1.00 સુધી લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. બપોર બાદ સાંજે 5 થી 6.30 સુધી પેડક રોડ પર અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના કાર્યક્રમ આપશે અને સાંજે 6.45 વાગ્યે નાના મવા મેઇન રોડ ખાતે સત્યમ પાર્ટી પ્લોટ ખાતે નાગરીક અભિવાદન સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 251 સંસ્થાઓ તેમનું સન્માન કરશે.












Click it and Unblock the Notifications
