ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ઠાકોર સેનાની સરકારને ઘેરવાની વ્યૂહરચના
ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, તેની કોર કમિટીની જાહેરાત કરશે. સાથે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવશે. સાથે જ ઠાકોર સેના દ્વારા સરકારને ભીંસમાં લેવા અને કેટલાક પ્રાણ પ્રશ્નો અંગે મજબૂત લડત આપવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી છે.
6 નવેમ્બરથી ઠાકોર સેના કરશે ઉપવાસ આંદોલન
6, નવેમ્બરે ઠાકોર સેના દ્વારા ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 લાખ લોકો જોડાશે તેવી આશા છે. દારૂબંધીનો કાયદો અને તેનું અમલીકરણ નહીં થાય તો ઠાકોર સેના દ્વારા આગામી છઠ્ઠી નવેમ્બરથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. તેમનો પ્રયાસ રહેશે કે તમામ જ્ઞાતિના લોકો તેમાં જોડાય. ઉપરાંત આ આંદોલનમાં 15 લાખથી વધુ લોકો જોડાય તે માટે 300થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના મંગરોળમાં અનુભવાયા ભૂંકપના આંચકા
ગુજરાતના માંગરોળમાં છેલ્લા 13 કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાથે જ જૂનાગઢ, સૌરાષ્ટના લોકોએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. જો કે રેક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.8 હતી તેેમ છતાં લોકો ધરા ધ્રુજતા રસ્તા પર મોટી સંખ્યામાં આવી ગયા હતા.
લુણાવાડા અને અમદાવાદ વચ્ચેના હાડોડ પુલનો સ્લેબ તૂટ્યો
લુણાવાડાથી અમદાવાદ થઇને ગાંધીનગરને જોડતો મુખ્ય હાડોડ ડુબક પુલનો સ્લેબ ભારે પાણીના પ્રવાહને કારણે તૂટી પડ્યો હતો. જેના કારણે તાત્કાલિક તંત્ર દ્વારા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આ વાહન્ વ્યવહાર બંધ થતા તે તરફ જતા લોકોને લાંબો રસ્તો પસાર કરીને ઘર તરફ જવું પડ્યુ હતું. તંત્રએ આ સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પુલ ઉપર બે વર્ષ અગાઉ જ સમારકામ થયુ હતું અને આ ચોમાસામાં ફરીથી આ મુશ્કેલી ઉભી થઈ છે.
યુવતીની આત્મહત્યા બાદ રોમિયો રાહુલની આત્મહત્યાની આશંકા
ગઈ કાલે છોટા ઉદેપુરમાં યુવતીએ સૂસાઇટ નોટ લખીને કરેલી આત્મહત્યા બાદ તેણે જે યુવકનો ઉલ્લેખ કર્યો હતો તે રાહુલ ભરવાડે પણ આત્મહત્યા કરી હોવાની આશંકા છે, પોલીસને તપાસ દરમિયાન નસવાડીના બોડેલી પાસેથી નર્મદા કેનાલ નજીકથી રાહુલની ગાડી મળી આવી હતી. ગાડીમાંથી ઝેરની એક ખાલી તથા એક ભરેલી બોટલ પણ મળી આવી હતી. તેમજ આ શખ્સ રાહુલ હોવાની વધારે ખાતરી આપતી બાબત એ છે કે રાહુલની ગાડીમાંથી પાર્વતીની ત્રીજા સેમેસ્ટરની માર્કશીટ પણ મળી આ છે. આથી પોલીસ તથા રાહુલના પરિવાર જનોને એવી આશંકા સેવી રહ્યા છે કે રાહુલે કેનાલમાં ઝંપલાવ્યું હોય.
અમદાવાદમાં ન્યૂ સી.જી.રોડ ઉપર ગટરમાંથી ફાટી આગ
અમદાવાદમાં ચાંદખેડા ગામ અને મોટેરા ગામને જોડતો રસ્તો જે ન્યૂ સી.જી રોડ તરીકે ઓળખાય છે ત્યાંની ગટરમાં અચાનક ધડાકા સાથએ આગ ફાટી હતી અને ગટરનું ઢાંકણું ઉછળ્યું હતું. ગટરલાઈનમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આસપાસ અવરજવર નહિવત હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઓએનજીસીની લાઈનમાં ગેસ ગળતરથી વર્ષો જૂની ડ્રેનેજ લાઈનમાં ધડાકા સાથે આગ લાગી હતી. ઉલ્લેખનીય છેકે આ પ્રકારની ઘટના પાંચ- છ વાર બની ચૂકી છે.