કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોઢવાડિયા સહિત ત્રણ દિગ્ગજોની ભૂંડી હાર
કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણેય દિગ્ગજોની હારથી એવું જણાઈ રહ્યું છે કે ગુજરાતની જનતા કોંગ્રેસના સુપડા સાફ કરી રહી છે.
ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ 77604 મત મેળવી જોરદાર માત આપી છે. અર્જુનભાઇ મોઢવાડિયાને પોરબંદરની આ બેઠક પર 60458 જેટલા મત મેળવ્યા હતા. ડભોઇની બેઠક પર ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલે 70833 જેટલા મતો મેળવીને સિદ્ધાર્થ પટેલને ઘરભેગા કરી દીધા છે. સિદ્ધાર્થ પટેલને 65711 જેટલા મતો મળ્યા હતા.
આ ઉપરાંત ભાવનગરની ગ્રામીણ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતાએ કોંગ્રેસના દિગ્ગજ નેતાને માત આપી છે. પરસોત્તમ સોલંકીએ 83980 જેટલા મત મેળવીને શક્તિસિંહ ગોહીલને માત આપી છે. શક્તિસિંહ ગોહીલે તેમની સરખામણીમાં 65426 જેટલા મત મેળવ્યા હતા.
આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ, અને અમે આકલન કાઢીશું કે અમારા પક્ષ દ્વારા ક્યા ચૂક રહી ગઇ છે.