બનાસકાંઠામાં તબાહી પછી, બહાર આવી એક પછી એક 17 લાશો
બનાસકાંઠાના ખારિયા ગામમાં એક જ પરિવારના 17 લોકોની લાશો મળી.
બનાસકાંઠામાં પૂર જેવી જે સ્થિતિ છે તેનું સૌથી વરવું રૂપ હવે ધીરે ધીરે બહાર આવતું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના ખારિયા ગામમાં એક પછી એક કુલ 20થી વધુ શબો મળી આવ્યા છે. જેમાં સૌથી મોટી દુખની વાત એ છે કે એક જ પરિવારના 17 લોકોની મોત થઇ હોવાનું જાણવામાં આવ્યું છે. પૂરમાં ફસાઇ જતા અને યોગ્સ સમયે સહાય ના મળતા આ તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે. આસપાસના ગામના લોકો દ્વારા તેમના મૃતદેહ નીકાળ્યાની ખબર મળતા જ તંત્ર સમેત સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હવે પહોંચ્યા છે. પણ ત્યાં સુધીમાં જે થવાનું હતું તે થઇ ગયું છે.
કાદવમાંથી નીકળતી એક પછી એક લાશોએ સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધુ હતું. ખારિયામાં ઠાકોર પરિવારના આ 17 સભ્યો છે તેવું જાણવા મળ્યું છે. તો અન્ય ગામોમાંથી પણ હવે આ રીતે એક પછી એક મૃતદેહો મળી રહ્યા છે. જેને નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા આ અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. ત્યારે હવે પાણી ઓસરતા મૃતકોની સંખ્યા વધશે તેવી ભીતી પણ ઊભી થઇ છે.