સાબરમતી જેલ સુરંગકાંડમાં બાંગ્લાદેશી કનેક્શન!!!
પોલીસના જણાવ્યા અનુસાર સુરંગ તૈયાર થઈ ગઈ હતી પણ ભાગી છૂટવા માટે મદદ મોડી મળે તેવી શક્યતા જણાતાં ભાગી છુટવાની યોજના મુલતવી રાખવામાં આવી હતી. આરોપીઓએ 26 ફૂટે આડશ મુક્યા બાદ અઠવાડીયા સુધી પડી રહેલી સુરંગનો ભેદ જેલતંત્રના એક કર્મચારીની નજર પડતાં ખૂલ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશ કનેક્શન સ્પષ્ટ કરવા સુરંગકાંડના સૂત્રધાર હાફીઝની કસ્ટડી મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
જેલમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા સુરંગકાંડમાં બાંગ્લાદેશ કનેક્શન ખૂલતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. બાંગ્લાદેશના જમાતે ઈસ્લામની પાંખ અને ઈસ્લામિક છાત્રસંઘ સાથે સુરંગકાંડના સૂત્રધાર હાફીઝ મુલ્લાના સંપર્કોનો પર્દાફાશ થયો છે. પોલીસને એવી વિગતો મળી છે કે, હાફીઝ ગત જુન-જુલાઈમાં કર્ણાટકમાં કોર્ટમાં મુદ્દતે ગયો ત્યારે આ જૂથ સાથે સંપર્ક થયો હતો અને યોજના ઘડાઈ હતી. અમદાવાદની સાબરમતી જેલમાં પરત ફર્યા પછી તેને બેરેકમાં રહેલા સાગરિતોને કહ્યું હતું કે- 'હવે અહીંથી નીકળવાની તૈયારી કરવાની છે.'
એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા હાફીઝ મુલ્લાએ બે એન્જિનિયર સ્ટુડન્ટ ભાઈઓ શીબલી અને સાદુલીને સાથે ઓક્ટોબરના અંતમાં સુરંગ ખોદવાનું કામ શરૂ કર્યું હતું. બીજી ફેબુ્રઆરીએ સુરંગ ખોદાઈ ગઈ હતી. સુરંગ સંપૂર્ણ ખોદાઈ ગયાની વાત છૂપાવવા 26 ફૂટે આડશ ગોઠવી દેવાઈ હતી. અઠવાડિયાથી ભાગી છૂટવાની 'રાહ' જોતા સાગરિતોને તારીખ 10 ફેબ્રુઆરીની સવારે હાફિઝે કહ્યું હતું કે- 'સુરંગનું મોં 10 ફૂટ બૂરી દેવું પડશે. બાંગ્લાદેશમાં પ્રોબ્લેમ છે એટલે થોડો સમય રોકાઈ જવું પડશે.' હાફીઝે આ વાત કરી તેના થોડા જ કલાકોમાં જેલ કર્મચારી ગોવિંદભાઈ લકુમ અને ટીમનું ધ્યાન પડી જતાં સુરંગકાંડનો પર્દાફાશ થયો હતો.
સુરંગકાંડના સૂત્રધાર હાફીઝ મુલ્લાના બાંગ્લાદેશના સંગઠન સાથે અને સ્થાનિક મદદગારોના સંપર્કો તપાસવા ક્રાઈમ બ્રાંચ 13 માર્ચના રોજ હાફીઝ, શિબલી અને સાદુલી સહીત પાંચ આતંકવાદીઓનો કબજો મેળવી ઉંડી તપાસ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, હાફીઝ સહીત પાંચ આતંકીઓએ પ્રથમ તબક્કાની પૂછપરછ દરમ્યાન સુરંગની 200 ફૂટની લંબાઈ અને બાંગ્લાદેશ કનેક્શન સહીતની વાત પોલીસથી છૂપાવી રાખી હતી.