મોદીના કાર્યક્રમ પહેલા જ પાટીદારોને કરાયા નજર કેદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે સૌની યોજનાનું લોકાર્પણ કરવાના છે. ત્યારે મોદીના જામનગર આગમન પહેલા જ પાસના કાર્યકરોની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે પાસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનો વિરોધ કરશે તેવી જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી. જે માટે પાટીદારો જામનગર પણ પહોંચવાના હતા. પણ તે પહેલા જ અનેક પાસ નેતાઓ પોલિસ દ્વારા સુરક્ષા કારણોને જોતા નજરકેદ કરવામાં આવ્યા છે.
મોદી ધ્રોલમાં પણ ધ્રોલમાં છે ભારે વરસાદ, વધુ વાંચો અહીં
મોદીના કાર્યક્રમમાં પાસના કાર્યકરો વિરોધ પ્રદર્શન ના કરે તે માટે સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલિત વસોયાને સોમવારથી જ નજર કેદ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જિલ્લા કન્વીનર દિલિપ સાવલિયાની પણ પડધરી પોલિસે અટક કરી છે. રાજકોટ શહેરના કન્વીનર હેમાંગ પટેલની પણ ગાંધીગ્રામ પોલિસે અટક કરી છે. તો મોરબી જિલ્લાના પાસ સહકન્વીનર મનોજ કાલરિયાને પણ પોલીસે નજરકેદમાં રાખ્યા છે.
આ ઉપરાંત ભાવનગરના પાસ કન્વીનર નીતિન ધેલાણીની પણ ભાવનગરમાં અટક કરવામાં આવી છે. સુરતથી પણ ધ્રોલ પહોંચનારા પાસ કાર્યકરોને અટક માટે સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવિયા, નિખિલ સવાણી, વિષ્ણુ પટેલ, ભાવેશ પટેલની અટક કરવામાં આવી છે.
નોંધનીય છે કે મોટી સંખ્યામાં પાસ નેતાઓ અને કાર્યકર્તાઓ જામનગર ખાતે કાળી પટ્ટી બાંધીને મોદીના આવવા પહેલા વિરોધ કરવાના હતા. પણ તેને વિફળ કરવા માટે પોલિસ દ્વારા તેમની અટક કરવામાં આવી છે.