પાટીદાર અનામત અંગે ચર્ચા-વિચારણા બાદ ફરી થશે બેઠક: ગુજ. કોંગ્રેસ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અંગે ફરી એકવાર રાજકારણીય મુદ્દો બની. સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પાસના કોર કમિટિ સભ્યોએ બેઠક. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અંગે ફરી એકવાર રાજકારણીય મુદ્દો બની બેઠે છે. સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પાસના કોર કમિટિ સભ્યોએ બેઠક કરી હતી અને અનામત મુદ્દે ચર્ચા કરી છે. સોમવારે બપોરે રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2.15 કલાકે આ બેઠક થઇ હતી, જે 3 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. એ પછી પત્રકારો સાથે વાત કરતાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતના હિત માટે કામ કરવા માંગતા અને ભાજપના ભ્રષ્ટ શાસનને હટાવવા માંગતા તમામ યુવાનો, આગેવાનો, કાર્યકરોને કોંગ્રેસ આમંત્રિત કરે છે. પાસના આગેવાનો તરફથી કરવામાં આવેલ માંગણીઓ અંગે કોંગ્રેસ હકારાત્મક છે.' આ બેઠકમાં કોંગ્રેસે પાસના નીચેના મુદ્દાઓ મામલે સ્પષ્ટ સંમતિ જાહેર કરી હતી.
પાસની આ માંગણીઓ સ્વીકારાઇ
કોંગ્રેસ સત્તામાં આવતાં પાટીદારો પર ભાજપ દ્વારા કરવામાં આવેલ રાજોદ્રોહ અને દેશદ્રોહ સહિતના તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ પોલીસ દમન, અત્યાચારની તપાસ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવશે તથા દમન માટે જવાબદાર તમામ સામે સખત પગલાં લેવામાં આવશે. પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલ પાટીદાર સમાજના પીડિત પરિવારને 35 લાખ સુધીની આર્થિક સહાય અને પરિવારમાંથી એક વ્યક્તિને શૈક્ષણિક લાયકાત મુજબ સરકારી નોકરી આપવામાં આવશે. કોંગ્રેસ સત્તામાં સવર્ણ આયોગની બંધારણીય દરજ્જા સાથે સ્થાપના કરવામાં આવશે. શિક્ષણ, સ્કિલ ડેવલેપમેન્ટ અને સ્વરોજગાર માટે રૂ.2000 કરોડની જોગવાઇ કરવામાં આવશે.
ફરી થશે બેઠક
પાસ દ્વારા અનામતની જોગવાઇની જે માંગણી કરવામાં આવી છે, એ અંગે કોંગ્રેસે પોતાનું મન ખુલ્લુ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, 'બિન અનામત વર્ગને અનામત માટે સંપૂર્ણ કાયદાકીય ચર્ચા-વિચારણા બાદ ફરી એક વખત બેઠક યોજાશે. કોંગ્રેસ કોઇપણ પ્રકારની લોલીપોપ આપવામાં માનતું નથી, પરંતુ બિન અનામત વર્ગના ગુજરાતના નાગરિકોને શિક્ષણ, રોજગાર આપવા માટે કટિબદ્ધ છે. આથી નિષ્ણાંતોની સલાહ બાદ ફરી એરકવાર બેઠક યોજાશે.'