નવસારીમાં ફૉર્ચ્યુનર કાર અને બસનો ગોઝારો અકસ્માત, દૂર્ઘટનામાં 9 લોકોના મોત
શનિવારે સવારે નવસારીમાં એક ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.
Navsari Accident: નવસારી જિલ્લામાં શનિવારે સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને કબજામાં લેવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
ઘટનાની વિગતો મુજબ વલસાડથી ભરુચ જતી એક કારે કાબુ ગુમાવી દેતા સામેના ટ્રેક પરથી અમદાવાદથી વલસાજ જતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત થયો હતો. વહીવટી તંત્રના અંદાજ મુજબ ફૉર્ચ્યુનર કારના ચાલકને ઝોકુ આવી જતા આ અકસ્માત થયો હોઈ શકે છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતા બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો.
બસના મુસાફરોમાંથી 30 લોકોને ઈજા થતા નવસારીની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. ફૉર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનુ પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યુ છે. મૃતકોમાં મયૂર વાવેયા, પ્રજ્ઞેશભાઈ વેકરિયા, ધર્મેશભાઈ શેલડિયા, જયદીપભાઈ પેથાણી, જયદીપભાઈ ગોધાણી, નવનીતભાઈ ભડિયાદરા અને નીતિનભાઈ પાટિલ(કંપનીનો ડ્રાઈવર)નો સમાવેશ થાય છે.