તિસ્તા સિતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ગુજરાત સરકારને નોટીસ જારી કરી
ગોધરાકાંડ બાદ બનાવટી પુરાવા ઉભા કરીને નિર્દોષ લોકોને ફસાવવાના આરોપોનો સામનો કરી રહેલી તિસ્તા સિતલવાડને સુપ્રીમ કોર્ટ મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની વચગાળાની સુરક્ષા વધારી છે અને રાજ્ય સરકારને નોટીસ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટે તિસ્તા સિતલવાડની સુરક્ષા વધારવા સાથે ગુજરાત સરકારને નોટિસ પણ જારી કરી છે અને સંબંધિત પક્ષકારોને 15 જુલાઈ સુધીમાં દસ્તાવેજો ફાઇલ કરવા આદેશ કર્યો છે. આ કેસમાં વધુ સૂનાવણી 19 જૂલાઈએ હાથ ધરાશે.

જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજીને ફગાવી હતી અને 2002 પછીના ગોધરા રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવાઓ બનાવવા સંબંધિત કેસમાં તાત્કાલિક આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું.
જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવતા તરત જ આત્મસમર્પણ કરવા આદેશ કર્યો હતો. આ પહેલાથી તે વચગાળાના જામીન પર જેલ બહાર છે.
ગોધરાકાંડ પછીની હિંસામાં નિર્દોષ લોકોને ફસાવવા પુરાવા બનાવ્યા હોવાના આરોપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધેલા કેસમાં ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સાથે ગયા વર્ષે 25 જૂને સેતલવાડની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે 30 જુલાઈ 2022ના રોજ તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિ ખોટા કામ કરનારાઓને સંદેશ આપશે કે વ્યક્તિ આરોપો લગાવી શકે છે અને છૂટકારો પણ મેળવી શકે છે.
આ અગાઉ 3 ઓગસ્ટ, 2022 ના રોજ હાઇકોર્ટે સેતલવાડની જામીન અરજી પર રાજ્ય સરકારને નોટિસ જારી કરીને સુનાવણી માટે 19 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યા પછી તેને વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજી પર સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે તેને વચગાળાના જામીન આપ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં તેની નિયમિત જામીન અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેને કેસની તપાસમાં તપાસ એજન્સીને સહકાર આપવા પણ કહ્યું હતું. સેતલવાડ 3 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવી હતી.












Click it and Unblock the Notifications
