Bilkis Bano Case: બિલકિસ બાનો કેસથી સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીએ ખુદને કર્યા અલગ
બિલકિસ બાનોએ તેના દોષિતોને સમય પહેલા મુક્ત કરવા સામે કરેલી અરજીની સુનાવણીના કેસથી સુપ્રીમ કોર્ટના જજ બેલા ત્રિવેદીએ ખુદને અલગ કરી દીધા છે.
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બેલા એમ. ત્રિવેદીએ મંગળવારે બિલકિસ બાનો કેસમાં દુષ્કર્મ અને હત્યા મામલે 11 દોષિતોની સમય પહેલા મુક્તિના ચુકાદાને પડકારતી પીડિતાની અરજી પર સુનાવણીથી પોતાને અલગ કરી દીધા છે.
'જસ્ટીસ ત્રિવેદી આ મામલે સુનાવણી કરવા માંગતા નથી'
તમને જણાવી દઈએ કે મંગળવારે જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ બેલા ત્રિવેદીની પીઠમાં કેસની સુનાવણી શરુ થઈ ત્યારબાદ રસ્તોગીએ કહ્યુ કે તેમની બહેન જસ્ટીસ ત્રિવેદી આ મામલે સુનાવણી કરવા માંગતા નથી. આ સાથે જસ્ટીસ રસ્તોગીની અધ્યક્ષતાવાળી પીઠે આ કેસને એક એવી પીઠ સમક્ષ સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો જેમાં બંનેમાંથી કોઈ જજ ના હોય. જો કે, જસ્ટીસ ત્રિવેદીએ કેસથી અલગ થવાનુ કોઈ કારણ જણાવ્યુ નથી.
બિલકિસ બાનોએ દાખલ કરી છે બે અરજી
બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી છે. પ્રથમ અરજીમાં, તેણે દોષિતની અરજી પર સુપ્રીમ કોર્ટના 13 મે, 2022ના આદેશની સમીક્ષા કરવાની માંગ કરી છે. કોર્ટે તેના આદેશમાં ગુજરાત સરકારને 9 જુલાઈ, 1992ની નીતિ હેઠળ દોષિતોની સમય પહેલા મુક્તિ માટેની અરજી પર વિચાર કરવા જણાવ્યુ હતુ. બીજી અરજીમાં તેણે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકાર્યો છે. જેના પર જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચમાં સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટીસ બેલાએ આ કેસથી ખુદને અલગ કરી લીધા. અગાઉ સોમવારે, સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તે બિલકિસ બાનો કેસમાં તેના આદેશની સમીક્ષાની માંગ કરતી અરજીને ટૂંક સમયમાં સૂચિબદ્ધ કરવા પર વિચાર કરશે.
ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવાની આપી મંજૂરી
તમને જણાવી દઈએ કે ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને 15 ઓગસ્ટના રોજ સમય પહેલા ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ આ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી હતી.