હાર્દિક પટેલને મળ્યા શરતી જામીન, પાટીદારો બન્યા હર્ષધેલા!
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના આરોપમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને શરતી જામીન મળ્યા છે. તેને 9 મહિના સુધી મહેસાણા બહાર રહેવું પડશે. જો કે આ શરતી જામીન બાદ હાર્દિક 9 મહિનાની જેલ બાદ બહાર આવી શકશે. વધુમાં તે અન્ય રાજ્યમાં જતા પહેલા 2 દિવસ સુધી પોતાના માદરે વતન વિરમગામમાં પણ રોકાઇ શકશે.નોંધનીય છે કે રાજદ્રોહ મામલે હાર્દિક પટેલને શરતી જામીન મળી ગઇ છે અને આ કેસમાંથી પણ હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર થતા તે હવે જેલની બહાર રહીં ગાંધી ચિંધ્યા માર્ગે તેનું આંદોલન ચલાવી શકશે.
હાર્દિક પટેલ પર લગાવવામાં આવેલા સુરત અને અમદાવાદના રાજદ્રોહના કેસમાં હાઇકોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કરી ચૂકી છે. અને રાજકોટ કેસમાં પણ જેને જામીન મુક્ત કર્યો છે. ત્યારે ખાલી આ વિસનગરનો કેસ જ બાકી હતો. જેમાં પણ હાર્દિક પટેલને જામીન મળતા તે હવે જેલની બહાર આવી શકશે.
ત્યારે હાર્દિક પટેલના જેલની બહાર આવવાના આ સમચાર માત્રથી હાર્દિક પટેલના પરિવાર અને સમગ્ર પાટીદાર સમાજમાં હર્ષોઉલ્લાસનો મહોલ છવાઇ ગયો છે. નોંધનીય છે કે હવે તે જોવાનું બાકી રહે છે કે હાર્દિક પટેલને જે શરતી જામીન મળી છે તે મુજબ તે ગુજરાતની બહાર કયા રાજ્યમાં રહેવાનું પસંદ કરે છે અને કેવી રીતે પાટીદાર અનામત આંદોલન રાજ્યની બહાર રહીને ચલાવે છે.