ગુજરાતની 182 સીટ પરથી ચૂંટણી લડશે BSP
બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. 23 સપ્ટેમ્બરે બસપા સુપ્રીમો માયાવતી ગુજરાતની મુલાકાતે. આ અંગે વધુ વાંચો અહી..
રાજ્યમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીએ 182 સીટ ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. બસપા સુપ્રીમો માયાવતી 23 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા ત્યારે આ મામલે જાહેરાત કરવામાં આવશે. વડોદરાના રાજા સયાજી રાવે ડો.બાબા સાહેબ આંબેડકરને વિદેશ અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. આ વાતને 100 વર્ષ થઇ રહ્યા છે તેની ઉજવણી કરવાના ભાગરૂપે માયાવતી ગુજરાત આવી રહ્યા છે. આ અંગે કોંગ્રેસ અને ભાજપનું માનવું છે કે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો સફળ નથી થયો. ત્યારે જે કોઈ ત્રીજો પક્ષ આવે તેને જનતા ક્યારેય નહીં સ્વીકારે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં બહુપક્ષીય ચૂંટણી જંગ જામવાની પુરી સંભાવના છે, કારણ કે, આ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં 182 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, NCP એ પણ આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવીને ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી છે, તેમણે કોંગ્રેસ સાથેનું ગઠબંધન પણ તોડી દીધું છે. ગુજરાતમાં હાલ નાના મોટા ઘણા આંદોલનો ચાલી રહ્યા છે, જે ભાજપ સરકાર પ્રત્યેની નારાજગીનું પરિણામ છે. તેમાં સૌથી મોટું પાટીદાર આદોલન છે, ત્યાર બાદ દલિત આંદોલન પણ છે. આ સિવાય પણ ગુજરાતની જનતાને સરકાર સામે કેટલીક નારાજગીઓ છે. આ જોતા આવનાર ચૂંટણી બે કરતા વધુ પક્ષો ઉતરશે, એ વાત પાકી લગી રહી છે. આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ બની રહેશે.