BTP એ JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જેડીયુ સાથે ગઢબંધનની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જેડીયુ સાથે ગઢબંધનની જાહેરાત કરી છે. જેડીયુ સાથે ગઠબંધનની જાહેરાત કરતા છોટુ વસાવાએ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
BTPના સ્થાપક છોટુ વસાવાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, BTP અને JDU જૂના મિત્રો છે અને તેથી જ અમે ચૂંટણી પૂર્વે જોડાણ કરવાનું નક્કી કર્યું છે. અમે તેમને મદદ કરીશું અને તેઓ અમને મદદ કરશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. અમારુ ધ્યેય વર્તમાન શાસનને ઉથલાવી દેવાનું છે.
અહીં તમને જણાવી દઈએ કે, BTP એ 12 વિધાનસભા મતવિસ્તારો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટેની અનામત નવ બેઠકોનો સમાવેશ થાય છે. ગયા સપ્ટેમ્બરમાં BTP એ BTP ને હરાવવા BJPએ અરવિંદ કેજરીવાલને મોકલ્યા હોવાનો આરોપ લગાવીને આમ આદમી પાર્ટી સાથે તેનું ચાર મહિના જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું.
ગઈ ચૂંટણીની વાત કરીએ તો, ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં BTPએ બે બેઠકો જીતી હતી. છોટુ વસાવા ભરૂચની ઝગડિયા બેઠક પરથી ચૂંટણી લડે છે. તેમના પુત્ર અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી ધારાસભ્ય છે. ગુજરાત JDU પ્રમુખ વિશ્વજીત સિંહે કહ્યું કે, છોટુભાઈ ભૂતકાળમાં JDUના પ્રદેશ અધ્યક્ષ હતા. અમે ભાઈઓ છીએ, જે ફરી એકવાર સાથે આવ્યા છે. આગામી દિવસોમાં ટિકિટ વિતરણને આખરી ઓપ આપવામાં આવશે.