હુક્કાબાર પર પ્રતિબંધ લાદવામાં ગુજરાત અગ્રેસર: CM રૂપાણી
રાજકોટ ખાતે યોજાયેલા રઘુવંશી સમાજના કાર્યક્રમમાં રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. જ્યાં તેમણે હુક્કાબારથી લઇને નશામુક્ત ગુજરાત અંગે શું ટિપ્પણી કરી હતી જાણો અહીં.
રવિવારે રાજકોટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રઘુવંશી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ગુજરાત યુવાધનને વ્યસન મુક્ત રાખવા મામલે ટિપ્પણી કરતા વિજય રૂપાણીએ કહ્યું કે હુક્કાબાર પર પ્રતિબંધ લાદવામાં ગુજરાત સદા અગ્રેસર રહ્યું છે. દારૂબંધી થકી સમાજમાં પ્રસરતા દૂષણો સામે લડવામાં ગુજરાત કોઇ પણ પ્રકારે કસર નહીં છોડે તેની હૈયાધારણ મુખ્યમંત્રીએ આપી હતી.

ગાય-ગીતા-ગંગા
વધુમાં આ પ્રસંગે રૂપાણીએ કહ્યું કે હિંદુધર્મની અસ્મિતાના પ્રતિક સમા ગાય-ગીતા-ગંગાનું સન્માન કરી રાજ્ય સુરક્ષા માટે એકત્રિત થવા પ્રજાજનોને અનુરોધ કર્યો. નોંધનીય છે કે આ પ્રસંગે પૂજ્ય હરીચરણદાસજી મહારાજ તથા પૂજ્ય જાનકીદાસજી મહારાજ હાજર રહ્યા હતા. અને સાથે જ રક્તદાન શિબિર અને વિનામુલ્યે થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આ પ્રસંગે 8000 લોકોને માં અમૃતમ યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

સિક્કાની બીજી બાજુ
નોંધનીય છે કે એક તરફ જ્યાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને નશામુક્ત કરવાની વાત કરી હતી ત્યાં જ બીજી તરફ સુરતમાં હાલમાં જ થયેલા લઠ્ઠાકાંડમાં 4 લોકોની મોત થઇ હતી. જેના પછી મોટી સંખ્યાં દેશી દારૂનો જથ્થો પણ પકડાયો છે. તો બીજી તરફ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો દારૂ મામલે લીક થયેલો ઓડિયો પણ અનેક સવાલ ઊભા કરી રહ્યો છે. ત્યારે આ તમામની વચ્ચે જો ખરેખરમાં વિજય રૂપાણી નશામુક્ત ગુજરાત કરવાની વાતો કરતા હોય તો સારું કહેવાય!












Click it and Unblock the Notifications
