નાયરા એનર્જી કંપનીના કુલ વિસ્તારનો ૩૫ ટકા વિસ્તાર બાગાયતી પાકોના વાવેતર માટે ગ્રીન બેલ્ટ હેઠળ આરક્ષિત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયરા એનર્જી લિમીટેડ કંપની પ્રદૂષણ નિવારણ અને કચરાના નિકાલના તમામ ધારાધોરણોનું યોગ્ય પાલન કરે છે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી નાયરા એનર્જી લિમીટેડ કંપની દ્વારા હવા અને જળ પ્રદૂષણ નિવારણ તથા કચરાના નિકાલના તમામ ધારાધોરણોનું યોગ્ય પાલન કરે છે એમ તપાસમાં માલૂમ પડ્યું છે.

મંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડ દ્વારા મોટા અને રેડ કેટેગરીના એકમોનું મોનીટરીંગ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે કરવામાં આવે છે. પરંતુ ફરિયાદ મળતા બોર્ડ દ્વારા અલગી સ્થળ તપાસ કરવામાં આવે છે. આ એકમની બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૧માં ૩ (ત્રણ) મુલાકાતો અને વર્ષ ૨૦૨૨માં ૬ (છ) મુલાકાતો લેવામાં આવી છે. નાયરા એનર્જી લિ. દ્વારા બોર્ડ સિવાય બોર્ડની થર્ડ પાર્ટી ઓડિટ સ્કીમ હેઠળ પણ એકમનું નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્ષમાં ત્રણ વાર મોનીટરીંગ કરવામાં આવે છે. આ એકમે ગત વર્ષોમાં નીરી (NEERI - National Ewironmental Engineering Research Institute), એન.આઇ.ઓ.(NIO - National Institute of Oceanography) દ્વારા અને દર માસે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝર્ટ ઇકોલોજી દ્વારા મરિન મોનીટરીંગ પણ કરાવ્યું છે.
નાયરા એનર્જી લી. દ્વારા પ્રદૂષણ અટકાવવા લીધેલ પગલાં અંગે વિગતો આપતા મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ નાયરા એનર્જી લી. રીફાઈનરી વર્ષ ૨૦૦૮થી કાર્યરત છે. આ એકમ પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી., કેરોસીન, ગેસોલીન વિગેરેનું ઉત્પાદન કરે છે. આ રીફાઈનરીને વાર્ષિક ૨૧ મિલીયન મેટ્રીક ટન કેપેસીટી માટે પર્યાવરણીય કાયદાઓ હેઠળ કન્સેન્ટ સીસીએ રીન્યુઅલ અને વન અને પર્યાવરણ મંત્રાલય તરફથી પર્યાવરણીય મંજૂરી (ઈસી) પણ મળી છે.
કંપની તેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પાણી દરિયાના ખારા પાણીને ડીસલીનેશન પ્લાન્ટથી મીઠું બનાવી વપરાશમાં લે છે. ભૂગર્ભ જળ કે અન્ય નદી નાળાનું પાણી વાપરતું નથી. પાણી પ્રદૂષણ નિયંત્રણ માટે કોમ્પલેક્ષની અંદર જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવે છે અને ટ્રીટેડ કરેલ ઔદ્યોગિક પાણીનો વિવિધ ફરીથી ઉપયોગ જેમ કે પ્રોસેસમાં ફરી વપરાશ, ફાયર વોટર મેક અપ,કુલીંગ ટાવર મેક અપ અને ગ્રીન બેલ્ટ ડેવલોપમેન્ટ માં કરે છે. ફક્ત ખારા પાણી કે જે દરિયાના પાણીને મીઠું બનાવવાથી નિકળે છે અને આર.ઓ રીજેક્ટ નો દરીયાની અંદર ઉંડે સુધી NID દ્વારા સુચવેલ સ્થળે સાયન્ટીફીક રીતે ડીફ્યુઝરથી નિકાલ કરવામાં આવે છે. એકમ દ્વારા એકમમાં ઉદભવતા ડોમેસ્ટીક ગંદાપાણી તથા તેના રહેણાંક કોલોનીના ગંદાપાણીના શુદ્ધિકરણ માટે અલાયદા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શુદ્ધ કરેલ ગંદાપાણીને ગાર્ડનીંગ માટે વપરાશમાં લેવામાં આવે છે એમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.
હવા પ્રદૂષણ નિયંત્રણ માટે એકમ દ્વારા ચીમનીમાંથી નિકળતી હવાને નોમ્સ પ્રમાણે ટ્રીટમેન્ટ નિકાલ કરવામાં આવે છે. એકમ દ્વારા ઓછા સલ્ફર વાળા બળતણનો વપરાશ કરાય છે. નાઈટ્રોજન ઓક્સાઈડના નિયંત્રણ માટે અદ્યતન બર્નર લગાવેલ છે. મોનીટરીંગ માટે ઓનલાઈન મોનીટરીંગ સાધનો લગાવેલ છે. ચીમનીની સાથે રીયલ ટાઈમ ઓનલાઇન મોનિટરીંગ સિસ્ટમ લગાવેલ છે, જેનું પરિણામ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ નવી દીલ્હી તેમજ જીપીસીબી ખાતે ઉપલબ્ધ છે. પરિસરની હવાની ગુણવત્તા પણ ચકાસવા થર્ડ પાર્ટી ઓડીટર દ્વારા મોનીટરીંગ સ્ટેશનો ચલાવી સમયાંતરે માપણી કરવામાં આવે છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ નાયરા એનર્જી લીમીટેડ કંપની દ્વારા હવા, પાણીનું પ્રદૂષણ અને વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે કરવામાં ન આવતો હોવા અંગેની ૦૪ ફરિયાદો સરકારને મળી હતી, જે તમામ અન્વયે તપાસમાં તમામ ધારધોરણોનું યોગ્ય રીતે પાલન થતું હોવાથી આ અરજીઓ દફતરે કરવામાં આવી હતી.
નાયરા એનર્જીનો દ્વારા વિકસિત કરાયેલા ગ્રીન બેલ્ટની વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નાયરા કંપની પરિસર ૧૧૭૧ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે, જે પૈકી કુલ ૩૫ ટકા વિસ્તાર એટલે કે ૪૧૦ હેક્ટર ગ્રીન બેલ્ટ એરીયા હેઠળ આરક્ષિત કરાયો છે, જેમાં બાગાયતી પાકો અને ફૂલછોડનું વાવેતર કરવામાં આવ્યું છે. નાયરા દ્વારા કેરી, શર, દાડમ, ચીકુ, કેસોડ, ઓસ્ટ્રેલિયન બાબુલ, કરંજ, લીમડો, સોનમોહર, ગુલમહોર, શિરીષ, સપ્તપર્ણી, દેવકંચન, આંબલી, ગોરસ આંબલી, બદામ, સરગવો, ગરમાળો, વડલો, અંજીર, ઉંબરો, નાળિયેરનું ઝાડ, રોયલ પામ, મેક્સિકન પામ, પારિજાત વગેરેનું વાવેતર કરાયું છે.












Click it and Unblock the Notifications
