રાહત દરે 12 ગેસ સિલિન્ડર આપીશું : કોંગ્રેસ
ગોહિલે જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પર કરનું સૌથી વધારે ભારણ નાંખીને માત્ર માનીતાઓને જ ગુજરાતની તિજોરી લૂંટાવી છે. દેશની કોંગ્રેસશાસિત સરકારોએ પોતાના રાજ્યના પરિવારોને સબસીડાઈઝ એટલે કે સસ્તા ગેસના બાટલા પૂરા મળી રહે તે માટે ૯ ગેસના બાટલા આપવાની શરૂઆત કરી દીધી છે.
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને એકપણ બાટલો સસ્તા દરે આપવાની જાહેરાત કરી નથી. માત્રને માત્ર જૂઠ્ઠાણાંઓ અને કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ આમ ગુજરાતીને કોઈપણ રાહત ગેસના બાટલામાં આપી નથી.
તેમણે સાણંદની જમીન પર ગુજરાત રાજ્યના પશુઓની સારવાર માટે સંશોધન અને વ્યવસ્થાની ઉત્તમ યુનિવર્સિટીનું નિર્માણ કરવાનું હતું. ગુજરાતની સરકારે ગૌવંશના નામે રાજકારણ કર્યું, પરંતુ ગૌવંશ માટે અત્યંત ઉપયોગી બની રહે તેવી યુનિવર્સિટી સાણંદ પાસેથી છીનવી લઈને મફતના ભાવે આ જમીન માનીતા ઉઘોગપતિ ટાટાને પધરાવી દીધી છે.
સાણંદ ખાતેના નેનો પ્લાન્ટ માટે અપાયેલી પશુ સંવર્ધન યુનિવર્સિટીની જમીન કે જેની કિંમત કરોડો રૂપિયા થાય છે તે મફતના ભાવે આપ્યા પછી પણ ભાજપની સરકારને સંતોષ ન થયો અને તેથી સાણંદ અને અમદાવાદ વચ્ચે પ્લાન્ટ ઉપરાંત ૧૦૦ એકર જમીન ટાઉનશીપ બનાવવા માટે આપી દેવામાં આવી છે.
આ ટાઉનશિપ બનાવવાને બદલે જો ગુજરાતની સરકારે ગૃહિણીઓના ઘર બનાવ્યા હોત તો સમગ્ર સાણંદ મતવિસ્તાર અને અમદાવાદની પણ અનેક બહેનોને ઘરનું ઘર પ્રાપ્ત થઈ ગયું હોત. ગુજરાત સરકારે સહુનો સાથ લેવાની વાત કરીને માત્ર માનીતાનો વિકાસ કર્યો છે.