ચૂંટણી સમયે અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના કાન આમળ્યાં

તેમણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અપીલ કરી હતી કે "ચૂંટણી સમયે એકબીજાના પગ ખેંચવાનો પ્રયત્ન કરવાને બદલે કોંગ્રેસ એક બનશે તો વિરોધ પક્ષને હરાવી શકાશે. કોંગ્રેસે વ્યક્તિને નહીં, પણ સંગઠન, રાજ્ય અને પ્રજાને નજરમાં રાખીને કામ કરશો તો વિરોધીઓ કોંગ્રેસને ક્યારેય હરાવી શકશે નહી. ગુજરાતને જો બેઠુ કરવું હશે તો કોંગ્રેસની જ સરકાર જોઇશે."
એહમદભાઇએ જણાવ્યું હતું કે "કોંગ્રેસ પક્ષ અને સંગઠન એ સેવાનું માધ્યમ છે. તે માત્ર ચુંટણીલક્ષી માધ્યમ ના બનવું જોઇએ. કોંગ્રેસની આ નવી ઓફિસનું લક્ષ્ય લોકોની કોંગ્રેસ પ્રત્યેની અપેક્ષાઓને પૂર્ણ કરવાનું અને લોકોની સેવાનું કામ કરવાનું રહેવુ જોઇએ."
તેમણે સ્પષ્ટતા કરી કે "આ વખતે હું ટિકીટનાં મામલામાં પડવાનો નથી. જેને પણ ટીકીટ મળશે તેનો પ્રચાર કરવા અને તેને જીતાડવા હું આવીશ. તેમણે વારંવાર અનુરોધ કરી કાર્યકરોને પક્ષની એકતા જળવાય રહે તેવા જ પ્રયત્નો કરવા અને વૈચારીક મતભેદો ભુલી એક થઇ કામ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસની એકતાને મુલવતા તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસને ગુજરાતમાં સત્તા પર લાવવાનો નહીં, ગુજરાતને બચાવવાનો સવાલ છે."
અહેમદભાઇએ નરેન્દ્ર મોદીના નામ લીધા વગર જણાવ્યું કે " જવાબદારીવાળા સ્થાન પર બેસીને બેજવાબદારીવાળી વાત કરનારાઓને કોઇ જવાબ આપીને હું મારું મોઢું ખરાબ કરવા માંગતો નથી. ગુજરાતમાં ગેસના મુદ્દે ખેલાઇ રહેલા રાજકારણ અંગે તેમણે જણાવ્યું હતું કે સાત લાખ ગેસનાં કનેક્શનોનો દાવો કરનારને એ ખબર નહીં હોય કે ૮૦ નાં દાયકામાં ગુજરાત આવેલા નવલકિશોર શર્માએ ગેસની ફાળવણી કરી હતી."
તેમણે જણાવ્યું કે "ફાળવણી બાદ જે તે સમયે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ સારી નહતી કે તેઓ ગેસની પાઇપ લાઇનો નાંખી શકે. જે તે સમયે જ ગુજરાત ગેસ કંપનીની સ્થાપના કરાઇ હતી. અને ભરૂચ, અંકલેશ્વર સહિત જીઆઇડીસીના ઉદ્યોગોને ગેસના કનેકશનો અપાયા હતા. ત્યારે આજના નેતા કોઇ લારી પર બેસીને ફાફડા- ગાંઠિયા ખાતા હશે, અને તેઓ તે સમયે કદાચ રાજકારણમાં પણ નહી હોય, જેઓ આજે ગેસ લાઇનની ક્રેડિટ લેવા નિકળ્યા છે."
ભાજપ ખાડા પુરી રહ્યું છે. તેવી વાત અંગે એહમદભાઇ કહ્યું હતું કે ખરેખર તો આવા લોકો એજ ખાઇ ખોદી છે. અને કોંગ્રેસે તે ભરવાની છે. ગુજરાત પર વધી ગયેલા દેવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે પ્રત્યેક જન્મતા બાળકના માથે રૂ. 25૦૦૦ દેવું છે. ગુજરાત પર આજે રૂ. એક કરોડ 40 લાખ કરોડનું દેવું છે, જે વર્ષ 2001માં માત્ર 22 લાખ 25 હજાર કરોડ હતું.
ગુજરાતને બેઠું કરવું હશે તો કોંગ્રેસની સરકાર જોઇશે, અન્યથા સાચા વિકાસના રસ્તે ગુજરાત 25 વર્ષ પાછળ ધકેલાઇ ગયું હશે.












Click it and Unblock the Notifications
