કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્યના બળવાના એંધાણ, પક્ષ વિરોધીઓને પ્રોત્સાહનનો આક્ષેપ
કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્યના બળવાના એંધાણ
કોંગ્રેસના સંગઠનમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. જ્યાં, હજુય કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે. આશા પટેલના રાજીનામાં બાદ હવે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ પક્ષમાં બળવાનો સૂર ઉચ્ચાર્યો છે. ધારાસભ્યે ચિમકી ઉચ્ચારી છેકે, જો પક્ષવિરોધી સામે પ્રદેશ નેતાગીરી પગલાં નહી ભરે તો, હુ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. અલ્પેશ ઠાકોરની ટીમના ગણાતા ભરતજી ઠાકોરની ચિમકીથી કોંગ્રેસ ફરીથી ચિંતામાં આવી ગયું છે.

પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે વધુ એક ધારાસભ્યનો બળવો
ઠાકોર નેતા તરીકે ઉભરેલા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની મહત્વની કમિટીઓમાં સ્થાન અપાયુ છે તેમ છતાંય તેની મહત્વકાંક્ષા ઓછી થઇ નથી. આ તરફ, અલ્પેશ ઠાકોરના જ જૂથના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પ્રદેશ નેતાગીરી વિરુધ્ધ ઝંડો ઉપાડયો છે. ભરતજી ઠાકોરનુ કહેવુ છેકે, મહેસાણા જીલ્લા કોંગ્રેસ આયોજિત કાર્યક્રમનુ આમંત્રણ જ અપાતુ નથી. તેમજ ધારાસભ્ય દ્વારા આયોજીત કાર્યક્રમને અસફળ બનાવવા કોંગ્રેસીઓ જ મેદાને લાગે છે. વિધાનસભાની ચૂંટણીમાં કેટલાંક કોંગ્રેસીઓએ હરાવવા પ્રયાસ કર્યો હતો. પરંતું, આ તમામ સામે કોઇ કાર્યવાહી કરી ન હોવાનો દાવો કર્યો હતો.

બેચરાજી બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ભરતજી ઠાકોર ઉત્તર ગુજરાતના બેચરાજીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પુર્વ ગૃહપ્રધાન રજની પટેલને પરાજ્ય આપ્યો છે. ભરતજી ઠાકોરને અલ્પેશ ગૃપના હોવાના કારણે ટીકિટ મળી છે અને તેમને અલ્પેશ ઠાકોરના જુથના ગણવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમને શિકસ્ત આપવા કોંગ્રેસની જ એક લોબી મેદાને પડી હતી. પરંતું, અલ્પેશ ઠાકોરના જુવાળ અને રજની પટેલની નારાજગીના કારણે તેમને ફતેહ મળી છે.

અલ્પેશ સમર્થિત ધારાસભ્ય તરીકે ગણના
હાલમાં જ્યારે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય તેવી હવા ચાલી રહી છે ત્યારે, અલ્પેશ ઠાકોર સમર્થિત બેથી ત્રણ ધારાસભ્યો પણ તેની સાથે જોડાય તેવી શક્યતા છે. તેમાં, ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસની મોવડીમંડળથી નારાજ ભરતજી ઠાકોરનો પણ સમાવેશ થઇ શકે છે. કારણ કે, ધારાસભ્ય તરીકે ભરતજી ઠાકોરની અચાનક એન્ટ્રી સ્થાનિક કોંગ્રેસના આગેવાનો માટે આડખીલી સમાન છે.

કોંગ્રેસ શિસ્તબદ્ધ પાર્ટી બની શકશે ખરી ?
કોંગ્રેસનું સંગઠન શિસ્ત બહાર રહીને કામ કરતાં કાર્યકરો કે નેતાઓ સામે પગલાં ભરવામાં કાચુ રહ્યુ છે. તેના કારણે પક્ષવિરોધી પ્રવૃતિ કરતાં તત્વોને પણ પ્રોત્સાહન મળી રહે છે. ત્યારે, જો કોંગ્રેસ આ પ્રકારે પક્ષના સિદ્ધાંત વિરોધ કે પક્ષની રેખા તોડવાનો પ્રયાસ કરનારને બક્ષતું રહેશે તો કોંગ્રેસ માટે ઉભા થવલું કઠીન બની રહેશે. સત્તા માટે કોંગ્રેસ માટે એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઉભરવું આવશ્યક છે. ભરતજી ઠાકોર જો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો રજની પટેલના પરાજ્ય પછી ત્યાં સ્થાનિક સ્તરે વર્તાતી નેતાગીરીની ખોટ પુર્ણ થશે. પરંતું, કોંગ્રેસ એક બાદ એક કેટલા ધારાસભ્યો ગુમાવશે ?












Click it and Unblock the Notifications
