કોંગ્રેસની ન્યાયયાત્રાનુ 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે જનસભા સ્વરુપે થશે સમાપન
Congress Nyay Yatra: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ અને મોરબી પુલકાંડને લઈને ન્યાય પદયાત્રા 9 ઓગસ્ટથી મોરબી ખાતેથી કાઢવામાં આવી હતી. આ પદયાત્રા હવે ગાંધીનગરના બદલે 23મીએ અમદાવાદના ચાંદખેડામાં સમાપ્ત થશે.
9મી ઓગસ્ટથી શરુ કરાયેલી યાત્રા ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગાંધીનગર ખાતે પહોંચશે તેવુ નક્કી કરાયુ હતુ પરંતુ હવે તેનુ સમાપન અમદાવાદમાં કરવામાં આવશે.

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા બુધવારે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસની ન્યાય યાત્રા 22 ઓગસ્ટના રોજ સવારે 8.30 કલાકે અમદાવાદના સાબર ચોકડી, સરખેજ પહોંચશે. ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. બપોરે 3 વાગે પદયાત્રા પૂજ્ય ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે 5.30 કલાકે પ્રાર્થના સભામાં જોડાશે. ત્યારબાદ 23 ઓગસ્ટે સવારે 8 વાગે સાબરમતી આશ્રમથી સુભાષબ્રીજ થઈ ચાંદખેડા ખાતે જનસભા સ્વરુપે યાત્રાનુ સમાપન થશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપોની સાથે યાત્રા દરમિયાન તેમનો અનુભવ કેવો રહ્યો? સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિવારણ કેવી રીતે લાવી શકાય જેવા મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે. દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટથી મોરબી ખાતેથી શરૂ થઈ હતી.
ગોહિલે ઉમેર્યુ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની 'ગુજરાત ન્યાય યાત્રા' મોરબી - ટંકારા - રાજકોટ - ચોટીલા - સુરેન્દ્રનગર - વિરમગામ - સાણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે. રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે.
ગોહિલે વધુમાં જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરી રહી છે.












Click it and Unblock the Notifications
