કૉંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને 8મી જૂનથી ત્રણ દિવસ કરશે રાજ્યવ્યાપી હલ્લાબોલ
ખેડૂતો દ્વારા દેશના ઘણા રાજ્યોમાં આંદોલન છેલ્લા ચાર દિવસથી ઉગ્ર બની રહ્યું છે. ત્યારે, હવે આ દેશવ્યાપી આંદોલન બનવાના અણસાર જોવા મળી રહ્યા છે.
ખેડૂતો દ્વારા દેશના ઘણા રાજ્યોમાં આંદોલન છેલ્લા ચાર દિવસથી ઉગ્ર બની રહ્યું છે. ત્યારે, હવે આ દેશવ્યાપી આંદોલન બનવાના અણસાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ આ આંદોલન ઉગ્ર બને તેવા સંકેત છે. કૉંગ્રેસ દ્વારા ૮ થી ૧૦ જુન સુધી રાજ્યવ્યાપી આંદોલન કરી રાજ્યમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલી લડતને ખુલ્લો ટેકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ૮મીએ તાલુકા કક્ષાએ ધરણા કર્યા બાદ ૯મીએ સાંજે ભાજપ સરકારને ઊંઘમાંથી જગાડવા માટે ઘંટનાદ કરવામાં આવશે. આ પછી ૧૦મી જુને અમદાવાદ સહીત રાજ્યભરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે રસ્તા રોકો-જેલ ભરો આંદોલન કરવામાં આવશે. ખેડૂત આંદોલનને કૉંગ્રેસનો ટેકો મળતાં હવે રાજ્યવ્યાપી અસર કરશે.
ખેડૂત આંદોલનની અસર ભાજપ સાશિત રાજ્યોમાં વધારે
ખાસ કરીને ખેડૂત આંદોલનનો ફેલાવો ભાજપ શાસિત રાજ્યોમાં વધુ જોવા મળી રહ્યો છે. એટલે કે, પંજાબને બાદ કરતા અત્યાર સુધીમાં માત્ર ભાજપ સરકાર હોય તેવા રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, જેવા રાજ્યોમાં જ ખેડૂત આંદોલન થઇ રહ્યું છે. આવા સમયે વધુ એક ભાજપ સરકારવાળા રાજ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ દ્વારા પણ સીધા ઝંપલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડૂતોની સમસ્યાઓ સામે સરકાર બેપરવાહ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે ખેડૂતોના સમર્થનમાં કૉંગ્રેસ અગ્રેસર બનીને ઉભી રહેશે. ગુજરાતના ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસ પક્ષ ખેડૂતો સાથે જ ઊભો રહેશે. રાજ્યમાં ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને, ખેડૂતોની મુળભૂત સમસ્યા પર સરકાર આંખ આડા કાન કરી રહી છે. ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી તેમજ સિંચાઇ માટે પુરતી વિજળી પણ ઉપલબ્ધ નથી. આ સાથે જ ખેડૂતોના દેવાં માફ કરવાની પણ કૉંગ્રેસે માંગણી કરતા સરકાર સામે હલ્લાબોલ શરૂ કર્યું છે.
ભાજપની ભાગલા પાડો રાજ કરોની નીતિ
કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે રાજ્યના લોકોના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે સરકાર અવનવા ગતકડાં કરતી હોવાનો અને સરકાર ખેડૂતોની વાસ્તવિક સમસ્યા પર બેપરવાહ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પાટીદારોના આંદોલનમાં અંદરો અંદર ભાગલા પડાવવા માટે ભાજપ જવાબદાર છે. ભાગલા પાડો અને રાજ કરોની ભાજપની નીતીમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી હોવાથી આંતરવિગ્રહના બીજ રોપી ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
કૉંગ્રેસના સભ્યો તોડવા ભાજપના પ્રયાસ
રાજ્યમાં નવા રોટેશન પ્રમાણે બીજી ટર્મ માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખોની નિમણૂકોનો દોર શરૂ થવાનો છે. ત્યારે, ભાજપ કોંગી શાસિત પંચાયત-પાલિકા તોડી પાડવા પ્રયાસ કરી રહ્યો છે. જોકે તેમાં ભાજપને સફળતા મળવાની નથી તેવો દાવો પણ કૉંગ્રેસે કર્યો હતો. પરંતુ, ભાવનગરના મહુવા નગરપાલિકામાં ભાજપની નીતિરીતીથી ત્રાસીને સાત સભ્યો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને હજુ ઘણા જોડાવા માટે તૈયાર હોવાનો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો છે. એટલે કે, ગ્રામ્ય અને શહેરી અર્ધ શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસમાં હજુ ભાજપના ઘણા સભ્યો અને હોદ્દેદારો ચૂંટણી પહેલાં જોડાઇ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી.
ત્રણ દિવસ કૉંગ્રેસનું રાજ્ય વ્યાપી આંદોલન
ત્યારે, હવે 8 જૂનથી ત્રણ દિવસ માટે કૉંગ્રેસ ગ્રામ્ય કક્ષા સુધી જુદા જુદા કાર્યક્રમ, ધરણાં અને જેલભરો આંદોલન કરીને હલ્લાબોલ મચાવશે. ખેડૂતોની માંગણી માટે કૉંગ્રેસ ગામડાંથી લઇ ગાંધીનગર સુધી ભાજપ સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમ કરવાની જાહેરાત પણ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોનું દેવું માફ કરો નહી તો ભાજપ સરકાર સાફ કરોના નારા સાથે કૉંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે.
ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ
કૉંગ્રેસ દ્વારા અન્ય રાજ્યોની માફક ખેડૂતોને 18થી 24 કલાક વિજળીની માંગણી પણ કરી છે. ખેડૂતોને વિજળી આપવામાં ગુજરાત 16માં ક્રમાંક પર હોવાનો દાવો પણ કૉંગ્રેસે કર્યો છે. એસ્સાર અને અદાણી જેવી કંપનીઓને વીજળી અને જમીનો માટે માલામાલ છે ત્યારે, ખેડૂતો માટે પાયમાલી છે. મગફળી, કપાસ સહિતના ટેકાના ભાવ વધારવામાં પણ કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્યની ભાજપ સરકારે કોઇ પ્રયાસ કર્યા નથી. ત્યારે, ખેડૂતોની હિતેચ્છી હોવાની ગુલબાંગ મારતી ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં પાણી વગરની પુરવાર થઇ હોવાનો આરોપ લગાવ્યો હતો.