બીજી યાદી ફાઈનલ કરવા કોંગ્રેસ નેતાઓ દિલ્હીમાં
બીજા તબક્કાના ઉમેદવારોની ચર્ચા બાદ શક્તિસિંહ ગોહિલ વિમાનમાર્ગે અમદાવાદ જવા રવાના થયા હતા જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દિલ્હી ખાતે જ રોકાઈ ગયા હતા. સંભવતઃ તેઓ આજે મંગળવારે એ.આઈ.સી.સી.ના કેટલાંક નેતાઓને મળનાર છે.
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ૮૭ ઉમેદવારો સાથે બીજા તબક્કા માટે ૩૦ ઉમેદવારોની કોંગ્રેસ હાઇકમાન્ડે પસંદગી કરી હતી અને બાકીના ૫૯ ઉમેદવારોની પસંદગી માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ગઇકાલે અમદાવાદથી નવી દિલ્હી પહોંચી ગયા હતા એ પછી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદભાઇ પટેલના બગંલે બેઠક શરૂ થઇ હતી, જેમાં અહેમદભાઇ સાથે કેન્દ્રીય મંત્રીઓ સી.પી.જોશી અને એન.આર.પી.સિંહ પણ જોડાયા હતા.
કોંગ્રેસના બંને નેતાઓએ ભારે સ્ક્રુટીની બાદ પ્રદેશકક્ષાએ પસંદ કરવામાં આવેલી ઉમેદવારોની પેનલો રજૂ કરીને ચર્ચા શરૂ કરી હતી. જેમાં અમદાવાદની અગાઉ પસંદ કરાયેલી ચાર બેઠકો નારણપુરા, ઘાટલોડિયા, ઓઢવ અને દાણીલીમડાના ઉમેદવારોને બાદ કરતા બાકીની ૧૨ બેઠકોના ઉમેદવારોની પસંદગીનો પ્રશ્ન હાથ પર લેવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ મતદારોના પ્રભાવ હેઠળની જમાલપુર-ખાડિયા- શાહપુર-દરિયાપુર અને વેજલપુરની બેઠકના ઉમેદવારોના નામો અંગે વિવાદ સર્જાયો હતો.
એક કરતા વધુ ઉમેદવારોની દાવેદારી હોવાથી તથા રિપીટ-નો રિપીટના પ્રશ્ને ભારે ગડમથલ થઇ હતી. જેમાં રિપીટ થિયરી કામ કરી જશે. એવી એક વાત બહાર આવી છે. જ્યારે બાપુનગર, અસારવા, નરોડા, રખિયાલ અને સાબરમતીની બેઠક, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠાની કેટલીક બેઠકો અંગે ખૂબ લંબાણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઠાકોર, ક્ષત્રિય, પટેલ અને હિન્દીભાષી મતદારોના પ્રભાવ અંગે હાઇકમાન્ડે વિસ્તૃત માહિતી માંગી હતી. રાત્રે ૧૦ વાગે શરૂ થયેલી આ બેઠક પરોઢિયે પાંચ વાગે પૂરી થઇ હતી અને ફરી સાંજે મળવાનુ નક્કી કરવામાં આવતા બીજા તબક્કાના ઉમેદવારોની પસંદગીનું ચિત્ર ઘૂંધળુ જ રહ્યું હતું.
શંકરસિંહ વાઘેલા પણ દિલ્હી પહોંચ્યા
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોની પસંદગીને લઇને ઉભો થયેલો વિરોધનો વંટોળ જોતા હવે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓ બીજા તબક્કામાં ઉમેદવારોની પસંદગીમાં ફુંકી-ફુંકીને આગળ વધવા માંગે છે. પ્રથમ તબક્કાની યાદી બાદ રાજીવ ગાંધી ભવન આગળ કાર્યકરોના દેખાવની ઘટનાને કોંગ્રેસ હાઇકમાન્ડે ભારે ગંભીરતાથી લીધી છે. આમ બીજા તબક્કા માટે ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાને પણ ખાસ દિલ્હી તેડાવવામાં આવ્યા છે.