રાજ્યમાં કોરોના વિસ્ફોટ : ACના ઉપયોગ પર પ્રતિબંધ, ઇન્ડસ્ટ્રીમાં વધારાશે ટેસ્ટિંગ
બુધવારના રોજ રાજ્યમાં 548 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે પોરબંદરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) એ કડક પ્રોટોકોલ જાહેર કર્યો છે.
રાજ્યમાં કોવિડ 19ના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બુધવારના રોજ રાજ્યમાં 548 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે પોરબંદરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) એ કડક પ્રોટોકોલ જાહેર કર્યો છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને જીમમાં એર કન્ડિશન(AC)ને મંજૂરી આપી નથી અને હીરા અને કાપડ ઉદ્યોગના કામદારો માટે દર અઠવાડિયે રેપિડ એન્ટિજેન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ માટે વધુ 19 દર્દીઓના પરીક્ષણ સાથે રાજ્યમાં ઓમિક્રોનનો આંકડો બુધવારની સવાર સુધીમાં 97 થયો છે, જેમાંથી હાલ રાજ્યમાં 56 એક્ટિવ કેસ છે. રાજ્ય આરોગ્ય બુલેટિન અનુસાર 19 માંથી 9 નો કોઈ પ્રવાસ ઇતિહાસ ધરાવતા નથી.
SMC એ પણ જાહેરાત કરી છે કે, નવા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે. જો ઉલ્લંઘન થતું જણાશે તો કાર્યવાહી શરૂ કરવામાં આવશે. નાગરિક સંસ્થાએ એ પણ જાહેરાત કરી હતી કે, 400 વ્યક્તિઓની વેડિંગ ગેસ્ટ કેપનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
નવા કેસ હાલમાં લગભગ ત્રણ દિવસના ગાળામાં બમણા થઈ રહ્યા હોવા છતાં, રાજ્ય સરકાર હાલમાં લગ્નમાં 400 મહેમાનોને મંજૂરી આપે છે.
સુરત શહેરમાં બુધવારના રોજ વધુ 72 કેસ ઉમેરાયા હતા અને શહેરમાં કોવિડ 19ના છ દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટ સાથે મળી આવ્યા હતા. જેમાંથી બેનો આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઈતિહાસ હતો, જ્યારે બાકીના ચારનો કોઈ પ્રવાસ ઇતિહાસ ધરાવતા ન હતા.
અમદાવાદ શહેરમાં 265 નવા કેસ નોંધાયા હતા, જે કારણે શહેરમાં સક્રિય કેસની સંખ્યા 800થી વધુ થઈ ગયા હતા. સિવિક બોડીએ ઈસનપુરના સદભાવ ફ્લેટમાં નવ ઘરો અને આંબલી ખાતે અભિશ્રી બંગલોઝમાં છ ઘરોને માઇક્રો કન્ટેન્ટ ઝોન હેઠળ ઉમેર્યા હતા. અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટ સાથે આઠ કોવિડ 19 દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી છનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઇતિહાસ હતો, જ્યારે અન્ય બેનો કોઈ પ્રવાસ ઇતિહાસ ન હતો.
વડોદરામાં વધુ ત્રણ ઓમિક્રોન કેસનો વધારો થયો છે. જેનાથી જિલ્લામાં ઓમિક્રોનના કેસ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. આ ત્રણેય દર્દીઓ કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક પ્રવાસનો ઇતિહાસ ધરાવતા નથી.
અમદાવાદ શહેર અને ગ્રામીણ અધિકારક્ષેત્રમાં દૈનિક સરેરાશ 8,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેમાં ત્રણ ટકાથી વધુનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ જોવા મળી રહ્યો છે, જે 23 ડિસેમ્બરના રોજના એક ટકાના ટેસ્ટ પોઝિટિવિટી રેટથી તીવ્ર વધારો છે.
આ દરમિયાન AMC મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ બુધવારના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ, આરોગ્ય અધિકારીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર, સ્કૂલ બોર્ડના અધિકારીઓ અને હોસ્પિટલના અધિકારીઓ સાથે કોવિડ 19ના પગલાં અંગે AMCની એક પ્રેસ નોટ મુજબ બેઠક બોલાવી હતી.
પ્રેસ નોટ મુજબ અધિકારીઓને કેસના ક્લસ્ટરની જાણ કરતા વિસ્તારો/વિસ્તારોમાં માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા, ટેસ્ટિંગ કિઓસ્ક સાથે ટેસ્ટિંગ વધારવા તેમજ BRTS, AMTS બસ સ્ટેશન, બસ સ્ટેન્ડ, કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝૂ, રેલ્વે સ્ટેશન અને ટેસ્ટિંગ સુવિધાઓમાં વધારો કરવાની સૂચના આપવામાં આવી હતી.
ઘન કચરા વ્યવસ્થાપન વિભાગને માસ્ક અપ અને સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે જનજાગૃતિ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી અને પ્રોટોકોલનું પાલન ન કરતા લોકો પાસેથી દંડ વસૂલવાની સૂચના આપવામાં આવી હતી. ટેક્સ વિભાગને કોમર્શિયલ એકમો પર કોવિડ એસઓપીના પાલન માટે ચેકિંગ હાથ ધરવા અને જેઓ તેનું ઉલ્લંઘન કરતા જણાયા તેમની સામે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો હોવા છતા પણ, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આવતા મહિને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા માટે "મક્કમ" છે, જેના માટે રાજ્ય સરકારે સાત દિવસના સંસર્ગનિષેધ (ક્વોરેન્ટાઇન) ના નિયમમાં કેન્દ્ર પાસેથી છૂટછાટ માગી છે, જેથી "જોખમી" દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઇવેન્ટમાં હાજરી આપી શકે.
આ સાથે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટથી રાજ્યને આર્થિક રીતે ફાયદો થશે અને રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં કોવિડની સ્થિતિ "નિયંત્રણ હેઠળ" હોવાનો દાવો કરતા ઋષિકેશ પટેલે આગળ જણાવ્યું હતું કે, હવેથી ફક્ત સંપૂર્ણ રસીવાળા મુલાકાતીઓને જ સરકારી કચેરીઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. PM નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 જાન્યુઆરીથી શરૂ થશે.