Custodial Death In Gujarat : રાજ્યમાં પોલીસ સ્ટેશન જ અસુરક્ષિત, કસ્ટોડિયલ ડેથના 189 કેસ નોંધાયા
Custodial Death In Gujarat : રાજ્યમાં ગુનાહિત પ્રવૃતિમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે સાથે કસ્ટોડિલ ડેથના કિસ્સા પણ વધી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કસ્ટોડિયલ ડેથના કુલ 189 કેસ સામે આવ્યા છે.
પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં કસ્ટોડિયલ મૃત્યુની 100 ઘટનાઓ બની હતી, જ્યારે કેલેન્ડર વર્ષ 2022માં આ સંખ્યા 89 હતી.
લેખિત જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા આ 189 કેસોમાંથી 35 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા અને 154 અન્ય લોકો ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા.
ગેરરીતિ કરનારા પોલીસ અધિકારીઓ સામે સરકારે લીધેલી કાર્યવાહી અંગેના પેટા પ્રશ્ન પર, ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલો) નોંધ્યા છે, વિભાગીય પૂછપરછ શરૂ કરી છે, સસ્પેન્શનના આદેશો જાહેર કર્યા છે અને આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારે દરેક મૃતકના નજીકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે.
છેલ્લા 20 વર્ષમાં સમગ્ર દેશમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ આવા 893 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં અલ્તાફના મોતથી ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં થયેલા મોતે ચર્ચા જગાવી છે. છેલ્લા 20 વર્ષમાં સમગ્ર દેશમાં પોલીસ કસ્ટડીમાં 1888 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર 26 પોલીસકર્મીઓ જ દોષી સાબિત થયા છે.