Cyclone Biparjoy: ભાવનગરમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્રનુ મોત
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે ગઈ કાલે સાંજે 6.30 વાગે ટકરાયા બાદ અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાએ ગંભીર અસરો કરી હતી.
ઘણી જગ્યાએ વૃક્ષો, વીજળીના પોલ ધરાશાયી થયા. મકાનોના છાપરા ઉડ્યા, કાચા મકાનો પડી ગયા. રાજ્યમાં વાવાઝોડાની ભયાનક અસરો જોવા મળી રહી છે. વાવાઝોડાના લીધે ભાવનગરમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત પર આવેલ બિપરજોય વાવાઝોડાની કુદરતી આફતે ભાવનગરમાં પિતા-પુત્રનો ભોગ લીધો છે. ભાવનગરના ભંડાર ગામ નજીક નદી નાળાના પાણીમાં પોતાના ઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાઈ ગયા હતા. બનાવની વિગત એવી છે કે ભાવનગરમાં ભંડાર અને સોડવદરા ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાંથી પાણી નિકાલ માટે રાખવામાં આવેલ પાઈપમાં બકરા તણાઈ જતા પિતા-પુત્ર તેમને બચાવવા ગયા અને બંનેએ જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ભાવનગરના સોડવદરા ગામના દેવીપૂજક પિતા-પુત્ર પોતાના માલઢોરને બચાવવા ગયા હતા. ફાર્મહાઉસમાંથી પાણી નિકાલ માટે રાખવામાં આવેલા પાઈપમાં ઉપરવાસમાંથી ડુંગરમાંથી પાણી આવી જતા આ દૂર્ઘટના બની હતી. પાઈપના પાણીમાં ગૂંગળાઈ જવાથી બંને પિતા-પુત્રના મોત નીપજ્યા હતા. મૃતક પિતા-પુત્રના દેહને પોસ્ટમોર્ટમ માટે વરતેજ સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે વાવાઝોડાના લેન્ડફૉલ પછી અનેક જગ્યાએ આખી રાત તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના પોલ પડી ગયા હતા. અનેક ગામડાઓમાં રાતે અંધારપટ છવાઈ ગયો હતો. મધરાતે કચ્છના બંદર પર વિશાળ વહાણ પલટી ગયુ હતુ.












Click it and Unblock the Notifications
