વાવાઝોડુ 'બિપરજોય' આગામી 48 કલાકમાં ધારણ કરશે રૌદ્ર રુપ, ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના, તંત્ર સજ્જ
Cyclone Biparjoy: અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. જે હજુ ત્રણ દિવસ સુધી આગળ વધે તેવી સંભાવના છે.
હાલમાં બિપરજોય વાવાઝોડુ પોરબંદરના દરિયાકાંઠીથી 1050 કિમી દૂર છે. વાવાઝોડાના કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં વાવાઝોડુ રૌદ્ર સ્વરુપ ધારણ કરશે. વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્ય પશ્ચિમ ભારતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. માછીમારો અને પોર્ટ માટે વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા બિપરજોય પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડુ જેમ-જેમ આગળ વધી રહ્યુ છે તેમતેમ વધુ ખતરનાક બની રહ્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની હાલમાં ગુજરાત પર કોઈ અસર નથી. પરંતુ સાવચેતીના ભાગ રુપે ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો અને ચોમાસામાં કુદરતી આપત્તિઓને લઈને ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી. જેમાં રાહત કમિશ્નર આલોકકુમાર પાંડેએ જણાવ્યુ કે બિપરજોય વાવાઝોડુ તેમજ ચોમાસામાં કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્યનુ વહીવટી તંત્ર સજ્જ છે. રાજ્યમાં વરસાદની સ્થિતિમાં રાહત કામગીરી માટે એનડીઆરએફની 15 અને એસડીઆરએફની 11 ટીમે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગુજરાતના તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે શુક્રવાર અને શનિવારે ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંને દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વળી, પવનની ગતિ 170 કિમી પ્રતિ કલાક સુધી જવાની પણ સંભાવના છે.
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોયને અનુલક્ષીને અમુક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 11 જૂને 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 12 જૂને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
