દલિતો હિન્દુ નથી : 'દલિતોએ મંદિરમાં પ્રવેશી ન કરવો', આઝાદીના 7 દાયકા પછી પણ કેમ આ હાલત?
ગામડાઓમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનો વિરોધ કરતા દલિત લોકો ડરે છે. આઝાદીના 7 દાયકા બાદ પણ જાતિવાદ ખતમ થયો નથી. સરકાર દેખાડો કરવા ખાતર આર્થિક ઉત્થાન માટે પ્રયાસ કરી રહી છે, પણ સામાજીક ધોરણે કોઇ કામગીરી થઇ રહી નથી.
Dalits are not Hindus : જૂનાગઢ જિલ્લાના એક ગામમાં ગુરુવારના રોજ પોલીસની દેખરેખ હેઠળ દલિતો મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યારે કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ મંદિર પરિસરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોસ્ટર્સ લગાવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પીઠોર ગામના કાલ ભૈરવ મંદિરની બહાર બુધવારની રાત્રે કેટલાક જાતિવાદી મનસિકતા ધરાવતા લોકોએ એક બોર્ડ લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, દલિતોને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. સવારે લોકોએ બોર્ડ પર ભેદભાવપૂર્ણ લખાણો જોયા બાદ ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવા ડીવાયએસપી સહિતની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે ગામના સરપંચ અને ગામના દલિત નેતાઓને ભેગા કર્યા અને કહ્યું કે તેઓ મંદિરમાં તમામ દલિતોના શાંતિપૂર્ણ પ્રવેશની દેખરેખ રાખશે. પોલીસ સૂત્રોએ દાવો કર્યો હતો કે અંગત અદાવતમાં કોઈને ફસાવી દેવા માટે આ બદમાશોનું હાથ હતું, જેની માળીયા હાટીના પોલીસ તપાસ કરી રહી છે.
કેશોદના Dy SP જે. બી. ગઢવીએ TOI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે બધા દલિત નેતાઓને એકઠા કર્યા અને અમારી દેખરેખ હેઠળ મંદિરમાં પ્રવેશવાનું કહ્યું અને ગામમાં કોઈ પણ આ ચેષ્ટાનો વિરોધ કરવા ન આવ્યું હતું. અમે અરજી લઇ લીધી છે અને તપાસ પણ શરૂ કરી છે. પુરાવા એકત્ર કર્યા બાદ અમે એફઆઈઆર નોંધીશું.
2019 માં દલિત અત્યાચારના કેસ
2019માં અત્યાચારના 1,500 કેસ નોંધાયા સાથે રાજ્યમાં જાતિ આધારિત હિંસાની અસર દલિતો પર હોય તેવું લાગે છે. જેમાં 32 હત્યાના કેસ, 81 હુમલા અને 97 બળાત્કારના કેસનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે, ગયા વર્ષે અત્યાચારના સરેરાશ પાંચ કેસ નોંધાયા હતા.
2001 અને 2019 વચ્ચેના આંકડાઓ 2018 સુધી કેસમાં વધારો સૂચવે છે. 2019માં 2018 કરતા 45 કેસમાં નજીવો ઘટાડો થયો હતો, જો કે, 2019 માં રાજ્યમાં ઉચ્ચ જાતિના લોકો દ્વારા મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં લગ્ન સરઘસમાં ત્રણ દલિત યુવાનોને ઘોડા પર સવારી કરતા રોકવામાં આવ્યા હતા. તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુર શહેરમાં એક દલિત યુવકને તેના લગ્નમાં ઘોડા પર સવારી કરવા બદલ માર મારવામાં આવ્યો હતો.
2019માં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ જૂનાગઢમાં 102 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં છ હત્યા, 16 દલિત મહિલાઓ પર બળાત્કારના અને 10 ગંભીર ઈજાના કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ના દિગ્દર્શક જે પોતે દલિત છે, તેની સામે 2019માં અત્યાચાર અધિનિયમ લાગુ કરવા માટે પોલીસે મૂર્ખતા કરી હતી.
નાગરિક અધિકાર કાર્યકર્તા કૌશિક પરમારે ગુજરાત DGP ઓફિસમાં દાખલ કરેલી RTI અરજીમાંથી આ આંકડાઓ મેળવવામાં આવ્યા છે. કૌશિક પરમારે જણાવ્યું હતું કે, દલિતોને સમાજમાં હજૂ પણ સમાન વ્યવહાર આપવામાં આવતો ન હોવાથી કેસ વધ્યા છે.
2018 માં દલિત અત્યાચારના કેસ
રાજ્યમાં 2003 થી 2018 ની વચ્ચે નોંધાયેલા કેસોની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 15 વર્ષોમાંથી 11 વર્ષોમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ( 2003 થી 2014). 2018માં અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ 1,545 જેટલા કેસ નોંધાયા હતા, જ્યારે 2003માં રાજ્યભરમાં નોંધાયેલા 897 કેસ હતા. કેસમાં થયેલા આ વધારાની સામે અત્યાચારના કેસમાં દોષિત ઠરાવાનો દર નજીવો છે. 2014-2016 ના ત્રણ વર્ષમાં 5 ટકા કરતાં વધુ જ્યાં આંકડા ઉપલબ્ધ છે.
આનાથી રાજ્યમાં દલિતો અને આદિવાસીઓ સામે હિંસા આચરનારાઓને ખરેખર પ્રોત્સાહન મળ્યું છે, એમ ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. મેવાણી રાજ્યમાં અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (ST) ના અધિકારો માટે ઊભા રહેલા મજબૂત દલિત અવાજ તરીકે ઉભરી આવ્યા છે.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દેશભરમાં દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. એસસી અને એસટી સામેના ગુનામાં વધારો થવાનું મુખ્ય કારણ સતત કૃષિ સંકટ અને આર્થિક સંકડામણ છે. જ્યાં લોકો પોતાનો ગુસ્સો દલિતો અને આદિવાસીઓ તરફ ઠાલવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જોડાણથી જાતિવાદી માનસિકતાની વિચારધારા મજબૂત થઈ છે. તેઓ ચંદ્રશેખર આઝાદ અને મારા જેવા યુવા દલિત નેતાઓના ઉદયને દલિત આક્રમકતા તરીકે જુએ છે.
અમદાવાદ જિલ્લાની અડધાથી પણ ઓછી વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં 2001-2017ના સમયગાળામાં અત્યાચારના લગભગ 60 ટકા વધુ કેસ નોંધાયા છે. તેવી જ રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગર બંનેમાં અમદાવાદ જિલ્લાની વસ્તી એક ચતુર્થાંશ કરતાં પણ ઓછી છે અને તે જ સમયગાળામાં અમદાવાદ જિલ્લા કરતાં 24 ટકા અને 17 ટકા વધુ કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેક કિસ્સા બન્યા છે. જેની ફરિયાદ કર્યા બાદ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ગામડામાં રહેતા દલિતોનો બહિષ્કાર કરવામાં આવે છે, જેમાં તેમને રોજબરોજનો સામાન તથા રોજગારી જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે વલખા મારવા માટે મજબુર કરવામાં આવે છે. જે કારણે ગામડાઓમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનો વિરોધ કરતા દલિત લોકો ડરે છે. આઝાદીના 7 દાયકા બાદ પણ જાતિવાદ ખતમ થયો નથી. સરકાર દેખાડો કરવા ખાતર આર્થિક ઉત્થાન માટે પ્રયાસ કરી રહી છે, પણ સામાજીક ધોરણે કોઇ કામગીરી થઇ રહી નથી. જે કારણે રાજ્ય અને દેશમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે.