'સંજય દત્ત ઇચ્છતા તો 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અટકી શક્યા હોત', ઉજ્જ્વલ નિકમનો મોટો દાવો
+અમદાવાદ: 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ આતંકી હુમલામાં 277 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે લગભગ 1,400 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વર્ષો બાદ હવે આ કેસના વિશેષ સરકારી વકીલ અને રાજ્યસભાના સાંસદ ઉજ્જ્વલ નિકમે એક એવો દાવો કર્યો છે, જેના કારણે ફરી એકવાર આ કેસ ચર્ચામાં આવ્યો છે.
ઉજ્જ્વલ નિકમે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે જો અભિનેતા સંજય દત્તે યોગ્ય સમયે સમજદારી દાખવી હોત, તો કદાચ 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોને અટકાવી શકાયા હોત અને અનેક નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત.

શું કહ્યું ઉજ્જ્વલ નિકમે?
એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ઉજ્જ્વલ નિકમને પૂછવામાં આવ્યું કે શું સંજય દત્ત આ હુમલાને રોકી શક્યા હોત? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે વિસ્ફોટો પહેલાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો દ્વારા મોટી માત્રામાં હથિયારો મુંબઈ લાવવામાં આવ્યા હતા. નિકમના જણાવ્યા અનુસાર, તે હથિયારોમાંથી કેટલાક સંજય દત્તે પોતાના પાસે રાખ્યા હતા.
તેમણે કહ્યું કે જો તે સમયે સંજય દત્તે આ બાબતની જાણ સંબંધિત એજન્સીઓને કરી હોત અથવા યોગ્ય પગલું ભર્યું હોત, તો તપાસ એજન્સીઓ સમયસર કાર્યવાહી કરીને મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરી શકી હોત.
'સંજય દત્ત આતંકવાદી નહોતા'
ઉજ્જ્વલ નિકમે સ્પષ્ટ કર્યું કે તેઓ સંજય દત્તને આતંકવાદી માનતા નથી. તેમના જણાવ્યા મુજબ સંજય દત્તનો કોઈ આતંકી હુમલો કરાવવાનો ઈરાદો નહોતો. તેમને માત્ર હથિયારો રાખવાનો શોખ હતો અને એ કારણે તેમણે કેટલાક હથિયારો પોતાના કબજામાં રાખ્યા હતા. જોકે, આ કૃત્યના કારણે તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો અને જેલની સજા પણ ભોગવવી પડી.
કોણ છે ઉજ્જ્વલ નિકમ?
ઉજ્જ્વલ નિકમ દેશના જાણીતા સિનિયર એડવોકેટ અને હાલ ભાજપના રાજ્યસભા સાંસદ છે. તેમનો જન્મ માર્ચ 1953માં મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. તેમના પિતા દેવરાવ નિકમ પણ જાણીતા કાયદાશાસ્ત્રી અને ન્યાયાધીશ રહ્યા હતા.
ઉજ્જ્વલ નિકમે પોતાના લાંબા કાનૂની કારકિર્દીમાં અનેક ચર્ચિત અને સંવેદનશીલ કેસોમાં સરકાર તરફથી દલીલો કરી છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ ઉપરાંત તેમણે 26/11ના મુંબઈ આતંકી હુમલાના આરોપી અજમલ કસાબ સામે સરકારનો કેસ સફળતાપૂર્વક લડી ફાંસીની સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત તેઓ ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ, 2013ના મુંબઈ ગેંગરેપ કેસ અને 2016ના કોપરડી બળાત્કાર-હત્યા કેસ જેવા અનેક હાઈ-પ્રોફાઇલ કેસોમાં પણ સરકારી વકીલ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે સેંકડો ગંભીર ગુનાહિત કેસોમાં દોષિતોને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.












Click it and Unblock the Notifications
