પશુ પાલકો માટે ખુશ ખબર, PM મોદીએ શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે લીધો આ નિર્ણય
ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન ક્ષેત્રને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું
છે. પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ
ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5300 થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના મહત્તમ ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની નેમ છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ નેમને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષ 2023-2024માં જ નવા 250 ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પૈકીના 200 નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂપિયા 17.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નવા 250 ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ 2500 જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ 1962 નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે.












Click it and Unblock the Notifications
