વડોદરા જિલ્લાના 7 નાના દેવસ્થાનોના વિકાસની સરકારે મંજુરી આપી
રાજ્ય સરકારે રાજ્યના મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે જેટલા પ્રયત્નશીલ છે, તેટલાં ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે પણ સંવેદનશીલ છે. હવે સરકારે ગ્રામ્ય કક્ષાના શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં લઈ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય મુજબ વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-મોટા દેવસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તાને સરકારે મંજુરી આપી છે. આ દરખાસ્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ગ્રામ્ય શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રો એવા પાદરાના 6 અને શિનોરના 1 દેવસ્થાનોના વિકાસની આ દરખાસ્તને મંજુરી આપી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા આ દરખાસ્તને મંજુરી મળતાં આ 7 દેવસ્થાનોના વિકાસનો માર્ગ મોકળો થયો છે.
જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે, બોર્ડને વડોદરા જિલ્લાના અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો તરફથી નાના-નાના તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી. બોર્ડે આ દરખાસ્તો મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી.
મુખ્યમંત્રીએ આ દરખાસ્તો ઉપર વિચારણા કરી વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના નાના-નાના 7 દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.52 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા વડોદરા જિલ્લાના જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે તેમાં સરકાર હસ્તકના લાલજી મહારાજ મંદિર ચાણસદ ખાતે રૂપિયા 10.17 લાખના વિકાસ કામો, શ્રી રણછોડજી મંદિર ડભાસા ખાતે રૂપિયા 11.22 લાખના વિકાસ કામો, શ્રી મુરલીધર મંદિર આમળા ખાતે રૂપિયા 13.23 લાખના વિકાસ કામો, શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ઉમરાયા ખાતે રૂપિયા 13.78 લાખના વિકાસ કામો, શ્રી દુર્ગેશ્વર મહાદેવ મંદિર મોભા ખાતે રૂપિયા 27.65 લાખના વિકાસ કામો અને શ્રી નરસિંહજી મંદિર અંબાડા, ખાતે રૂપિયા 25.95 લાખના વિકાસ કામો કરવામાં આવશે.
આમ, સરકાર હસ્તકના આ ૬ તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.02 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રી સત્યનારાયણ મંદિર માલસર ખાતે રૂપિયા 50 લાખના વિકાસ કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આ અગાઉ પણ રાજ્ય સરકારે વડોદરા શહેર અને જિલ્લાના 4 તીર્થસ્થાનોના કામો માટે રૂપિયા 7.45 કરોડ મંજુર કર્યા હતાં.












Click it and Unblock the Notifications
