સુરત સ્મીમેરમાં ડોકટર્સને માર મારવાના મુદ્દે તબીબોની હડતાળ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ તબીબો અને બે વોર્ડબોયને દર્દીઓના સગાઓએ માર માર્યાની ધટના બની હતી. જે બાદ હોસ્પિટલના 100થી વધુ તબીબો હડતાલ પર ઉતર્યા છે. અને દોષીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. નોંધનીય છે કે સુરતમાં સ્મીમેર જાણીતી હોસ્પિટલમાંથી એક છે.

નોંધનીય છે કે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ધટના મુજબ રામપુરા રોહિત ફળિયામાં રહેતા એક કિશોરને ઇજા થતા તેને સારવાર માટે અહી લવાયો હતો. આ કિશોરને માથામાં ઇજા થઇ હોવાના કારણે સિટીસ્કેનની જરૂર પડી હતી. જેથી તબીબો હિતેશ નામના આ કિશોરને સિટી સ્કેન માટે લઇ ગયા હતા. પરંતુ આ કિશોર વધુ હલનચલન કરતો હોવાના કારણે તેને બેભાન કરવા માટે તબીબોએ ફરીથી બહાર કાઢ્યો હતો.

આ સમયે તેના સ્વજનોએ તબીબો સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. જ્યાં જોતજોતામાં તબીબો સાથે મારામારી શરૂ થઇ ગઇ હતી. બનાવને પગલે અન્ય તબીબો અને વોર્ડબોય તેમજ સિક્યુરીટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પરંતુ 30થી વધુ લોકોના ટોળાએ તેમને ઢોર માર માર્યો હતો. ટોળાના આ હુમલામાં ડો. સમર્થ પટેલ તેમજ ડો. મિતેશ મોદીને વધુ ઇજા થવાના કારણે બંનેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તબીબો ને ઢોર માર માર્યા બાદ વિફરેલા ટોળાએ સિટીસ્કેન વિભાગમાં પણ ભારે તોડફોડ કરીને નુકસાન કર્યુ હતું.












Click it and Unblock the Notifications
