Excl : ‘રાજા’નો સાથ, ‘રણછોડ-દાદા’એ ન આપી દાદ
અમદાવાદ, 21 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 સમ્પન્ન થઈ ગઈ અને હવે જીતનારાઓ જશ્નમાં ડુબ્યાં છે, તો હારનારાઓ મંથનમાં મંડ્યા છે, પરંતુ આપણે અહીં નજર નાંખીશું ગુજરાતના ધાર્મિક સ્થળો ઉપર અને જાણીશું કે 115 બેઠકો સાથે ત્રીજી વાર સત્તા ઉપર વિરાજવા જઈ રહેલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર કોના આશીર્વાદ વરસ્યા છે અને કોણે કોંગ્રેસ ઉપર કૃપા કરી છે.
ગુજરાતમાં ધાર્મિક સ્થળોની વાત આવે, તો સૌપ્રથમ ત્રણ જ સ્થળો જ આંખો સામે ઉપસી આવે છે. તે છે જામનગર ખાતે આવેલ દ્વારકા, જૂનાગઢ ખાતે આવેલ સોમનાથ અને ડાકોર ખાતે આવેલ રણછોડ રાય. ઉપરાંત પણ અમે ડઝનબંધ એવા ધાર્મિક સ્થળો અહીં પસંદ કર્યાં છે. જોકે આ ત્રણ મુખ્ય ધાર્મિક સ્થળોના ચુંટણી પરિણામો જોઇએ, તો બહુમતી મેળવનાર મોદી ઉપર દ્વારકાધીશના રાજા કૃષ્ણનો તો હાથ રહ્યો છે, પરંતુ ડાકોરના રણછોડરાય અને પ્રભાસ પાટણ ખાતે વિરાજતાં સોમનાથ દાદાએ મોદીને દાદ નથી આપી.
આવો તસવીરો વડે જાણીએ કે કયા ધાર્મિક સ્થળોએ કોને આપ્યા આશીર્વાદ.

10-દાંતા-અમ્બાજી-કોંગ્રેસ
દેશની બાવન શક્તિપીઠોમાં ગણાતાં અમ્બાજીનો મહિમા ગુજરામાં અનેરો છે અને આ ધર્મસ્થળ દાંતા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. અહીં કોંગ્રેસનો વિજય થયો છે. એટલે કહી શકાય કે અમ્બાજીએ મોદીનો નહીં, પણ હાથનો સાથ આપ્યો છે.

19-સિદ્ધપુર-માતૃગયા તીર્થ-કોંગ્રેસ
હવે વાત કરીએ માતૃગયા તીર્થ સિદ્ધપુરની. સોનિયા ગાંધીએ જ્યારે અહીં સભા સમ્બોધી, તો મોદીએ હુંકાર ભરી હતી કે સિદ્ધપુર જેવા તીર્થસ્થળે સભા સંબોધવાથી પણ કોંગ્રેસના પાપ નહીં ધોવાય, પરંતુ અહીં કોંગ્રેસનો વિજય થયો છે.

21-ઊંઝા-ઉમિયા માતા-ભાજપ
ઉમિયા માતા એટલે લેઉવા પટેલના કુળદેવી ગણાય છે. ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાએ આશીર્વાદ આપ્યાં અને કેશુભાઈ પટેલ જેવા અડીખમ લેઉવા પટેલના દોરવાયા વગર લેઉવા પટેલ સમાજે ભાજપનો સાથ આખા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છોડ્યો નહીં. કદાચ ઉમિયા માતાના આશીર્વાદ જ ત્યાં સુધી ફેલાયાં. અહીં ભાજપનો વિજય થયો છે એટલે કહી શકાય કે ઉમિયા માતાના આશીર્વાદ મોદી સાથે રહ્યાં.

23-બેચરાજી-બહુચરાજી-ભાજપ
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલ બહુચરાજી માતાએ પણ મોદી ઉપર કૃપા રાખી છે અને અહીં ભાજપ વિજયી રહ્યો છે.

29-ભિલોડા-શામળાજી-કોંગ્રેસ
સાબરકાંઠા જિલ્લાની ભિલોડા બેઠક જીતી કોંગ્રેસે સાબિત કર્યું કે શામળાજીમાં વિરાજતાં વિષ્ણુસ્વરૂપી શામળિયાની તેની ઉપર કૃપા વરસી છે.

36-ગાંધીનગર ઉત્તર-અક્ષરધામ-ભાજપ
ગાંધીનર ઉત્તર બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે એટલે કહી શકાય કે અક્ષરધામમાં વિરાજતા ભગવાન સ્વામીનારાયણે મોદીનો સાથ આપ્યો છે.

63-ચોટીલા-ચામુંડા માતા-ભાજપ
ચોટીલા પર્વતે વિરાજતા ચામુંડા માતાની કૃપા પણ મોદી ઉપર વરસી છે. અહીં ભાજપનો વિજયી રહ્યો છે.

82-દ્વારકા-દ્વારકાધીશ-ભાજપ
દ્વારકાધીશની તો શી વાત કરાય. દ્વારકા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. દ્વારકા પોતે જામનગર જિલ્લામાં આવેલ છે અને આ જિલ્લામાંથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદૂને માત મળી છે, પરંતુ પબુભા માણેકના સહારે મોદી દ્વારકાધીશનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છે.

90-સોમનાથ-સોમનાથ દાદા-કોંગ્રેસ
મોદી સોમનાથ દાદાની કૃપા મેળવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. અહીં કોંગ્રેસના હાથને સોમનાથ દાદાએ સાથ આપ્યો છે. દાદાએ મોદીને દાદ આપી નથી.

102-પાલીતાણા-જૈન મંદિરોની નગરી-કોંગ્રેસ
મંદિરોની નગરી પાલીતાણા પણ કોંગ્રેસની સાથે જ રહી છે. પાલીતાણા જૈન મંદિરો માટે જાણીતું છે, પરંતુ મોદી ઉપર કૃપા વરસી નથી.

103-ભાવનગર ગ્રામ્ય-નિષ્કલંક-ભાજપ
ભાવનગર ગ્રામ્ય બેઠક હેઠળ આવે છે નિષ્કલંક મહાદેવ. આ એ જ નિષ્કલંક મહાદેવ છે કે જેના માટે કિવદંતી છે કે પાંડવો જ્યારે મહાભારતના યુદ્ધ બાદ પોતે પાપમાં પડ્યાનું અનુભવતાં હતાં અને પ્રાયશ્ચિત કરવા માંગતા હતાં, ત્યારે કૃષ્ણે કહ્યું હતું કે તમે કાળી ધ્વજા આપી જણાવ્યુ હતું કે આ ધ્વજા જ્યાં સફેદ થઈ જાય, ત્યારે તમે સમજી જજો કે તમારૂં પ્રાયશ્ચિત થઈ ગયું છે અને પાંડવોની ધ્વજા આ સ્થળે આવી સફેદ થઈ ગઈ હતી. તેથી પાંડવોએ અહીં નિષ્કલંક મહાદેવનું શિવલિંગ સ્થાપ્યુ હતું, પરંતુ અહીંની પ્રજાએ કથિત દબંગ એવા પુરુષોત્તમ સોલંકીને નિષ્કલંક બનવાની તક આપી છે અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને પ્રાયશ્ચિત કરવાનો જનાદેશ આપ્યો છે.

106-ગઢડા-ગઢડા સ્વામી-ભાજપ
ગઢડા સ્વામીનારાયણ મંદિર માટે પ્રખ્યાત છે અને અહીં ભાજપે વિજય મેળવ્યો છે.

116-નડિયાદ-સંતરામ મંદિર-ભાજપ
સંતરામ મંદિર ધરાવતા નડિયાદમાં પણ ભાજપ અને મોદી ઉપર કૃપા વરસી છે.

119-ઠાસરા-ડાકોર-કોંગ્રેસ
ઠાસરા બેઠક મોદીના કારણે જ મહત્વની હતી. મોદીએ પોતાના સંબોધનમાં સોનિયા ગાંધી અંગે ટિપ્પણી કરી હતી અને તેમાં સિદ્ધપુર ઉપરાંત ડાકોરનો પણ સમાવેશ થતો હતો, પરંતુ ડાકોરને સમાવતી ઠાસરા બેઠક કોંગ્રેસે જીતી લીધી છે. એટલે કહી શકાય કે ડાકોરના રણછોડ રાયે મોદીની મદદ કરી નથી.

128-હાલોલ-પાવાગઢ-ભાજપ
હાલોલ બેઠક ઉપર ભાજપે જીત મેળવી પાવાગઢ ખાતે આવેલ મહાકાળીના આશીર્વાદ મેળવવામાં સફળતા મેળવી છે.












Click it and Unblock the Notifications
