ડેમનું કામ અટકાતાં સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિના લડાઈના મંડાણ, મામલતદારને અરજી આપી
ડેમનું કામ અટકાતાં સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિના લડાઈના મંડાણ, કલ્યાણપુર તાલુકાના મામલતદારને અરજી આપી
કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ આજે સવારે સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ગોકળગાયે ચાલતા સાની ડેમના કામને ગતિ આપવાના હેતુસર બેઠક કરી હતી. જેમાં સૂર્યાવદર, ટંકારિયા, પાનેલી, ચૂર સહિત આજુબાજુના ગામડાઓના ખેડૂતો ભેગા થયા હતા. આ દરમિયાન સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે અને તેમાં દરેક ગામમાંથી 10 સભ્યો નિમવાનું નક્કી કરાયું.
પાલભાઈ આંબલિયા, મેરામણભાઈ ગોરિયા, મુરુભાઈ કંડોરિયા, ભીખુભાઈ, રમેશભાઈ કંડોરિયા વગેરે નેતાઓની આગેવાની હેઠળ ખેડૂતોએ આજે કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે અરજી આપી અધિકારીને ખેડૂતોની સમસ્યાથી વાકેફ કરાવ્યા હતા.
આ દરમિયાન પાલભાઈ આંબલિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો 1 તારીખ સુધીમાં સાની ડેમનું કામ શરૂ નહીં થાય તો ખેડૂતો પોતાની જાતે ડેમના કાઢિયામાં ચણતર કામ શરૂ કરી દેશે અને પછી સરકારનું નાક કપાય તો તેની જવાબદારી ખુદ સરકારની રહેશે. આ ઉપરાંત ખેડૂત નેતાઓએ જો સમયસર કામગીરીને ગતિ આપવામાં નહીં આવે તો ખેડૂત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે સાની ડેમ કલ્યાણપુર અને ઓખામંડળના નિવાસીઓ માટે જીવાદોરી સમાન છે, કલ્યાણપુર તાલુકાના 9 જેટલાં ગામોના ખેડૂતો આ ડેમના પાણીથી પિયત કરે છે, પરંતુ છેલ્લે 3 વર્ષથી ડેમ ખાલી પડ્યો હોય ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાની નુકસાની ભોગવવી પડી રહી છે.
બીજી તરફ સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિના દરેક ગામના 10 સભ્યો આગામી 18 એપ્રિલના રોજ બેઠક કરશે, અને આ બેઠકમાં આગળની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવશે.
અરજીની કોપી જોવા માટે અહીં ક્લિક કરો