વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘરની બહાર ક્વોરેન્ટાઇન એરિયા જાહેર કરતાં બોર્ડ માર્યા
વિદેશથી આવેલા પ્રવાસીઓ હોમ ક્વૉરેન્ટાઇનનો ભંગ ન કરે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. જેમાં ભારત પણ હવે બાકાત રહ્યું નથી. ભારતમાં પણ કોરોના પોઝિટિવની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. ગુજરાતમાં શનિવાર સુધી 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જોકે, કોરોના ફેલાવવા પાછળ વિદેશ પ્રવાસથી આવેલા લોકો જવાબદાર છે, તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ ચેપ લાગી શકે છે. ખાસ કરીને વિદેશ પ્રવાસથી આવેલા લોકોને હોમ ક્વૉરન્ટીન ફરજીયાત કર્યું છે. આ પ્રવાસીઓ હોમ ક્વૉરેન્ટાઇનનો ભંગ ન કરે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યા છે.

વિદેશથી આવેલા લોકોને મળવા પર પ્રતિબંધ
રાજ્યમાં તમામ મહાનગરો અને નગરોમાં વિદેશથી પરત આવેલા કે વિદેશના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન કરી તેમને મળવા કે બહાર જાહેરમાં નિકળવા પર પ્રતિબંધ મુક્યો છે. સુરતમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે બીજા અનેક શંકાસ્પદ કેસ હોવાના કારણે હોમ ક્વૉરન્ટીનની કામગીરી મ્યુનિસિપલ તંત્રે કડક બનાવી દીધી છે. હોમ ક્વૉરન્ટીનનો ભંગ ન થાય તેના માટે ખાસ કાર્યવાહી કરાઈ છે.

ક્વોરેન્ટાઇનનો ભંગ કરનાર સામે લેવાશે પગલાં
વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘરની બહાર ક્વૉરન્ટીન એરિયા એવા બોર્ડ મૂકી દીધા છે. સાથે આ વિસ્તારમાં મ્યુનિસિપલ કર્મચારી પણ મૂકી દીધા છે. સાથે જ જો કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરતું જણાશે તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. તો, મોડાસામાં પણ વિદેશથી પરત ફરેલા લોકોના ઘર પર નોટીસ બોર્ડ મારીને લોકોને મળવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ લોકો ઘરની બહાર ન નીકળે તેની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવી
મ્યુનિ. કર્મચારીઓની નજર ચુકવીને વિદેશ પ્રવાસથી આવેલા લોકો બહાર નીકળે તો તેની જાણ મ્યુનિ. તંત્રને આસપાસના લોકો પણ કરી શકે છે. મ્યુનિ. તંત્રના હેલ્પ લાઈન નંબર કે મ્યુનિ. તંત્રને હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરનારા લોકોને જાણકારી આપીને જાગૃતિનું કામ કરી શકે છે. વિદેશથી આવેલા લોકોએ સેલ્ફ ક્વૉરન્ટીનના આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. નહીં તો કાયદાકીય અને દંડની જોગવાઇ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
