ભાજપને ફટકો પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ કોંગ્રેસમાં જોડાયા
સાબરમતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ડો. જિતેન્દ્ર પટેલ, રમેશ પટેલ(દુધવાળા) ઘાટલોડિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપના ઉમેદવાર હતા, રાણીપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ પટેલ, સીટી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમૃતભાઇ પટેલ અને એલીસબ્રીજના ભાજપના કાર્યકર કમલેશ શાહે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
કહેવાય છે કે, નારણપુરા, ઘાટલોડિયા અને એલીસબ્રિજ બેઠક ભાજપ પાસેથી છિનવવા માટે કોંગ્રેસ ડો. જિતેન્દ્ર પટેલ, રમેશ દૂધવાળા અને કમલેશ શાહને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપી શકે છે. ઉક્ત પાંચેય ભાજપના આગેવાનોને કોંગ્રેસ કાર્યાલય ખાતે શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, નરહરિ અમિન અને અર્જુન મોઢવાડિયાએ આવકાર્યા હતા.
આ તકે મોઢવાડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારાને વિશ્વાસમાં મુકીને આ આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જેમને આવકાર છે. કોંગ્રેસ પક્ષના કાર્યકારો સાથે સક્રિય રીતે જોડાઇને અમદાવાદ શહેરના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે.
ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દરેકનો દસકો હોય છે. ભાજપનો દસકો પૂરો થઇ ગયો છે. આજે કોંગ્રેસ પક્ષમાં જે આગેવાનો જોડાયા છે તેમના અસંખ્ય ટેકેદારો છે. તેઓ પણ કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાના કામમાં લાગી જશે.