ગોળ ઉત્પાદનમાં આગળ વધી રહેલુ ગીર સોમનાથ, ખેડૂતોની કમાણીમાં દેશી ગોળનો બૂસ્ટર ડૉઝ
દેશી ગોળ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને સધ્ધર કરી રહ્યો છે. અહીંના ખેડૂતો ઓર્ગનિક ગોળ બનાવીને સારી કમાણી કરી રહ્યા છે.
ગીર સોમનાથ : ગુજરાત અને ભારત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ઓર્ગેનિક ગોળ લોકોના ભોજનની થાળીમાં મીઠાશ વધારતો થયો છે. ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા અને બોરવાવ વિસ્તાર ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. ગીર સોમનાથના ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરતાં થયાં છે અને અન્ય રાજ્યોના શ્રમિકોને પણ રોજગારી પૂરી પાડતા થયા છે. અહીંના ગોળની મીઠાશ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરો સુધી પહોંચી છે.

આ રીતે થાય છે ગોળનું ઉત્પાદન
સૌ પ્રથમ તો ખેતરમાંથી શેરડી એકઠી કરવામાં આવે છે. ત્યારબાદ વીજળીથી ચાલતા ચિચોડામાં શેરડી પીલવામાં આવે છે. જે પછી તેનો એકઠો થતો રસ ગાળી લેવામાં આવે છે અને જુદા જુદા લોખંડના ભઠ્ઠામાં ઉકાળવામાં આવે છે. આ ઉકાળવાની ક્રિયા દોઢથી બે કલાક સુધી સતત ચાલુ રહે છે. જેમાં ચીકણી ભીંડી પણ ઉમેરવામાં આવે છે. જે રસના નિર્જળીકરણમાં ખૂબ જ મોટો સિંહફાળો આપે છે. આ ભીંડી રસનો મેલ દૂર કરે છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોળનું શુદ્ધિકરણ થાય છે અને ઉકાળેલું પાણી ઠંડુ પડતાં ઘટ્ટ રસ મળે છે. જેને ઢાળીને તેના ભીલાં બનાવવામાં આવે છે. આ પછી ચોકીમાં ચોસલાં પાડી અને ૫, ૧૦ અને ૨૦ મ વિવિધ કિલોગ્રામના ડબ્બામાં પેકિંગ કરી મુંબઈ સહિત વિવિધ શહેરોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

એક ગોળના અનેક ઉપયોગ
સામાન્ય રીતે જિલ્લામાં નવેમ્બર મહિનામાં જ ગોળ ઉત્પાદન માટે ખેડૂતો કમર કસી તૈયાર થઈ જતાં હોય છે અને માર્ચ સુધી રાબડાની સિઝન ચાલતી હોય છે. ગીર સોમનાથમાં ઉત્પાદિત ગોળના કુલ ઉત્પાદનમાંથી ફર્સ્ટ અને સેકન્ડ નંબરની ક્વોલિટીનો ગોળ ખાદ્યપદાર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો કેટલોક ગોળ પ્રાણીઓને ખવડાવવામાં તેમજ તમાકુની પેદાશોની પ્રક્રિયામાં વાપરવામાં આવે છે. ગોળ બનાવતાં વધેલા શેરડીના છોતરાંને સુકવીને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. કેટલાક ખેડૂતો જમીનને પણ ગોળ પીવડાવે છે. જેથી વધુ પ્રમાણમાં અળસિયા ઉત્પાદન થઈ શકે અને જમીન ફળદ્રુપ બનાવી પ્રાકૃતિક ખેતીને વેગ આપી શકાય.

એન્ટિઑક્સિડન્ટ અને ખનીજ માત્રાથી ભરપૂર
ખાંડના વિકલ્પમાં ગોળને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ કરેલા ગોળના ઘટકોમાં મુખ્યત્વે સુક્રોઝ હોય છે. આ ઉપરાંત તેમાં ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ અને આર્યન જેવા ખનિજની પણ ભરપૂર માત્રા હોય છે. આ ઉપરાંત એન્ટિઑક્સિડન્ટથી ભરપૂર ગોળ કફ-શરદી, બ્લડપ્રેશર, એનિમિયા વગેરે જેવી બીમારીઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

સિંહ, કેસર કેરી અને હવે ગોળની મીઠાશ
શિયાળામાં દેશી ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. ગીર સોમનાથની કેસર કેરી, ડાલામથ્થા સિંહ ઉપરાંત હવે દેશી અને સ્વાસ્થ્યવર્ધક ગોળ પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અન્ય રાજ્યોમાંથી ફરવા આવતા પ્રવાસીઓ પણ ગોળની મીઠાશ પોતાની સાથે લઈ જાય છે તો કેટલાક ગ્રાહકો તો એવાં આવે છે જે એકસાથે જથ્થામાં આખા વર્ષ માટે ગોળનો ઓર્ડર આપી દે છે.

શું કહે છે ગીર સોમનાથના ગોળ ઉત્પાદકો?
પ્રાંસલીના આવા જ ગોળ ઉત્પાદક લખમણભાઈ વાળાએ જણાવ્યું કે, જિલ્લામાં દર વર્ષે ૨૫૦ થી ૩૦૦ કરતાં પણ વધુ રાબડાઓ ધમધમે છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખી ગોળ બનાવવામાં કે પ્રોસેસ દરમિયાન પણ કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી. ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયા એકદમ શુદ્ધ હોય છે. એક ટન શેરડીમાંથી ૧૦૦ કિલો જેટલો ગોળ બને છે. એક સીઝનમાં એક રાબડા પરથી ૯ થી ૧૦ હજાર ગોળના ડબ્બાનું ઉત્પાદન થાય છે. સરકાર તરફથી વીજળી પણ ૨૪ કલાક મળતી રહે છે. જેથી ઉત્પાદન પ્રક્રિયામાં પણ કોઈ અવરોધ આવતો નથી. સમગ્ર દિવસ દરમિયાન ૮૦ થી ૯૦ ડબ્બા ગોળનું ઉત્પાદન થાય છે. આ વખતેની શેરડીની સિઝન પણ સારી છે એટલે ગોળનું ઉત્પાદન પણ વધુ થવાનો અંદાજ છે.












Click it and Unblock the Notifications
