ગેરરીતિના કારણે પરીક્ષા તો રદ કરી પણ શું કૌભાંડકારીઓ સામે લેવાશે પગલાં?
ગેરરીતિના કારણે પરીક્ષા તો રદ્દ કરી, શું કૌભાંડકારીઓ સામે લેવાશે પગલાં?
રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષાની પ્રક્રિયામાં ગોટાળા અને ધાંધલી સામાન્ય વાત બની ગઇ છે. સરકારની કૌભાંડકારીઓ સાથેના નરમ વલણ અને મોટાં માથાંની સંડોવણીના કારણે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા વર્તાતી નથી. જેમાં, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ ટેટની પરીક્ષામાં પણ ગેરરીતિ થઇ હોવાની રજૂઆત થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. પરીક્ષા લીધાના 70 દિવસ બાદ તંત્ર દ્વારા આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
પેપર સોશિઅલ મીડિયામાં ફરતું થયુ હતું
માધ્યમિક શિક્ષકોની TET પરીક્ષા 29 જુલાઈ 2018ના રોજ સમગ્ર રાજ્યમાં લેવાઈ હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની ફરિયાદ થઇ હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પરીક્ષાનું આયોજન કરતાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખી તટસ્થ તપાસ માટે માંગણી કરી હતી. તેના 70 દિવસ પછી અરવલ્લી પોલીસે તપાસ કરીને પેપર ફૂટી ગયાનું સંપૂર્ણ સત્ય જણાતા FIR નોંધીને ગુન્હો દાખલ કર્યો છે.
પેપર 5થી 8 લાખમાં બજારમાં વેચાયાની ફરિયાદ
રાજ્યના યુવાનો સરકારી નોકરી મેળવવા માટે દિન રાત મહેનત કરી રહ્યા છે. લાખો રૂપિયા ભરીને કોચીંગ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી લાઇબ્રેરીમાં મહેનત કરી રહ્યા છે. આ પ્રામાણિક પ્રયત્નોથી કારકિર્દી ઘડવા માંગતા હજારો યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ટેટ-TETની પરીક્ષામાં ગેરરીતિ અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે. જે ઘણી જ ગંભીર બાબત છે. અનેક યુવાન-યુવતી કે જેઓ પરીક્ષા આપેલી છે તેઓએ પેપર લીક પાછળ લાખો રૂપિયાના નાણાકીય વ્યવહારની ફરિયાદો કરી છે. TETની પરીક્ષાનું પેપર 5 લાખથી 8 લાખમાં વેચાયાની અનેક જગ્યાએથી મોબાઈલ નંબર સાથે માહિતી સોશિઅલ મીડિયામાં ફરતી થઇ હતી. ગાંધીનગર નજીક હોટેલમાં આ પેપર ફુટ્યાનું પણ બહાર આવ્યું હતું.
સરકારમાં અનેક ભરતીમાં કૌભાંડ થયાની ભીતિ
કૉંગ્રેસના નેતા મનિશ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં છેલ્લા 10 વર્ષમાં મોટા પાયે આર્થિક વ્યવહારથી ભરતીમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે. ભાજપ શાસનમાં મોટા ભાગની સરકારી નોકરીઓમાં ગેરરીતિ અને આર્થિક વ્યવહાર દ્વારા ભરતી કૌભાંડ કરવામાં આવે છે. તલાટી કાંડ બાદ રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડ પણ ઘણું મોટું અને વ્યાપક છે. ભાજપ સરકારમાં એક પછી એક સરકારી નોકરીના ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે. શિક્ષક ભરતી કૌભાંડની ગંભીરતા એટલે વધુ થાય છે કે, આખી નવી પેઢીને તૈયાર કરનાર શિક્ષકની ભરતી જ પાછલા દરવાજે થાય તે દુર્ભાગ્યપૂર્ણ અને સરકારીની ભ્રષ્ટાચારી છબી દર્શાવતી હોવાનું જણાવ્યું હતું.
નોકરીમાં કૌભાંડની અનેક રજૂઆત સરકારને મળી
રાજ્યવ્યાપી કૌભાંડની આ ટેટની પરીક્ષામાં આર્થિક લેવડ-દેવડની મોટા પાયે ફરિયાદ અંગે રાજ્ય સરકાર તાત્કાલિક તટસ્થ તપાસ કરાવે અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથા સામે સખત પગલાં ભરે તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયામાં વારંવાર ગેરરીતિ અને મોટા પાયે આર્થિક લેવડ-દેવડના કિસ્સાઓ સામે આવ્યા છે. HTAT ની ભરતીમાં આણંદ ખાતે મોટું ભરતી કૌભાંડ આવ્યું, ટ્રાઇબલ ડેવલોપમેન્ટની ધોરણ- 6 થી 8 ની વિદ્યાસહાયક ભરતીમાં કૌભાંડ બહાર આવ્યું, અનેક વખત વિદ્યાસહાયકોની ભરતીના મેરીટમાં ગેરરીતિઓ થઈ, નર્સિંગ, મલ્ટીપર્પજ હેલ્થ વર્કર, તલાટી, વર્ગ-3 અને 4ના ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક સહિતની ભરતીઓ તથા ખોટા સર્ટીફિકેટો, નકલી પદવી દ્વારા નોકરીની ગોઠવણ અંગે અનેક ફરીયાદો રાજ્ય સરકારને મળી હોવા છતાં ભાજપ સરકાર આંખ આડા કાન કર્યા છે. સાચા લોકોને ન્યાય મળવાને બદલે કૌભાંડ કરનારાઓને સરકાર બચાવવાનું કામ કરી રહી છે. ત્યારે વધુ એક કૌભાંડ પર પરદો નાખવાનું કામ સરકારમાં બેઠેલા લોકો કરશે કે સત્ય બહાર લાવશે તે જોવું રહ્યું.
જયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસ