GPPને છ ટકાથી ઓછા મત મળશે તો 'બેટ'નું નિશાન ગુમાવવું પડશે
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. તેમની એન્ટ્રીથી ભાજપ માટે મોટો પડકાર ઉભો થયો છે. પાર્ટીના 174 જેટલા ઉમેદવારો બેટના નિશાન પર ચૂંટણી લડયા છે.
હવે જીપીપીએ બેટનું નિશાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચૂંટણી પંચની કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. જેમાં સમગ્ર રાજ્યમાં ઓછામાં ઓછા 6 ટકા મત મેળવવા અને ઓછામાં ઓછા 2 ધારાસભ્યો ચૂંટાવા જરૂરી છે.
પાર્ટીના ધારાસભ્યો આ શરતથી અનેક ગણો વિશેષ દેખાવ કરવા માટે આશા ધરાવે છે. ચૂંટણી પંચના ધારાધોરણ મુજબ પરિવર્તન પાર્ટીનો દેખાવ ન થાય તો બેટનું નિશાન ગુમાવી શકે છે.
કેશુભાઈએ 6 ઓગષ્ટ 2012ના રોજ પરિવર્તન પાર્ટીની સ્થાપના કરેલ. 16 ઓકટોબરના રોજ ચૂંટણી પંચમાં તેની નોંધણી થયેલ. 5 નવેમ્બરે ચૂંટણી પંચે ધારાસભાની ચૂંટણી માટે બેટનુ નિશાન ફાળવ્યુ હતું. પરિવર્તન પાર્ટી હજુ રજીસ્ટર્ડ પાર્ટી છે. રેકગ્નાઈઝ પાર્ટી નથી તેથી ભાજપ-કોંગ્રેસ કરતા ચૂંટણી પંચના ચોપડે તેની સ્થિતિ અલગ છે.
ધારાસભાની ચૂંટણીમાં બે તબક્કે મળી કુલ 71.32 ટકા મતદાન થયેલ. જે 2,71,58,628 મત થાય છે. કુલ માન્ય મતમાથી 6 ટકા મત મેળવવાના થાય તે મુજબ પડેલા તમામ મતને માન્ય ગણીએ તો કેશુભાઈની પાર્ટીએ ગુજરાતમાં 16,29,517 મત મેળવવા જરૂરી છે.
જેટલા ઉમેદવારો લડેલ તેમાથી ઓછામા ઓછા 2 ચૂંટાવા પણ જરૃરી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મત ન મળે તો પાર્ટી પાસે બેટનું નિશાન રહેવા સામે પ્રશ્નાર્થ સર્જાશે. જો પંચના નિયમ મુજબ પાર્ટીનો દેખાવ રહે તો બેટનું નિશાન કાયમી થવાનો રસ્તો ખુલી જશે.