ગુજરાત સરકાર અરવલ્લીમાં ખનન માટે પરવાનગી નહીં આપે-અર્જુન મોઢવાડિયા
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં જંગલ વિસ્તારો અને પર્યાવરણ સંવેદનશીલ પ્રદેશોના રક્ષણ માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અરવલ્લી ક્ષેત્રમાં ભૂતકાળમાં ક્યારેય ખનનને મંજૂરી અપાઈ નથી, કે ભવિષ્યમાં પણ નહીં અપાય.

તેમણે જણાવ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાના વન વિસ્તારોમાં રાજ્ય સરકારે ખનન પ્રવૃત્તિઓ પર હંમેશા પ્રતિબંધ મૂક્યો છે. આ કડક નીતિ ભવિષ્યમાં પણ જાળવી રખાશે, જે પર્યાવરણીય સુરક્ષા પ્રત્યે સરકારની સ્થાયી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મોઢવાડિયાએ ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, ગુજરાત સરકાર અરવલ્લી ટેકરીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણ માળખાનો અમલ કરી રહી છે. આ વ્યાખ્યા હેઠળ, સ્થાનિક જમીન સ્તરથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ભૂમિ રચનાઓને પર્વત ગણવામાં આવશે. આવા પર્વતો વચ્ચેના 500 મીટર સુધીના વિસ્તારો પણ અરવલ્લી શ્રેણીમાં સમાવિષ્ટ થશે.
તેમણે વધુ સ્પષ્ટતા કરી કે રાજ્યભરમાં રક્ષિત વિસ્તારો, પર્યાવરણ સંવેદનશીલ ઝોન, અનામત જંગલો, જળપ્લાવિત વિસ્તારો અને CAMPA પ્લાન્ટેશન સાઇટ્સ સહિતના 'મુખ્ય અને અખંડ' ઝોનમાં ખનન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ અને પર્યાવરણ સુરક્ષાને સંતુલિત કરીને ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત અને હરિયાળું ગુજરાત સુનિશ્ચિત કરવાનો છે. અરવલ્લી શ્રેણીનું પર્યાવરણીય મહત્વ સમજાવતા, મંત્રીએ જણાવ્યું કે તે રણીકરણ સામે કુદરતી અવરોધ અને ભૂગર્ભજળ રિચાર્જમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.












Click it and Unblock the Notifications
