પ્રશ્ન રદ કરવાનો વિરોધ કરતા કોંગ્રેસના બધા ધારાસભ્યો આજે વિધાનસભામાં સસ્પેન્ડ
ગાંધીનગર, 4 જુલાઇ : આજે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાંથી બેને બાદ કરતા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નોની યાદીમાંથી તેમનો પ્રશ્ન દૂર કરવામાં આવ્યો હોય તેવો આરોપ લગાવ્યા બાદ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરંભે ચઢી હતી. આ સ્થિતને જોતા ગૃહના અધ્યક્ષ વજુભાઇ વાળાએ બેને બાદ કરીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી કાળ દરમિયાન આદિવાસી મહિલા પર દુષ્કર્મ અંગે કોંગ્રેસના એક ધારાસભ્યએ પુછેલા પ્રશ્નને મંત્રીની વિનંતીથી રદ કરવામાં આવતા તેના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોની વેલમાં આવીને ધરણા અને સુત્રોચ્ચાર કર્યો હતો. જેના પગલે ગૃહના અધ્યક્ષ વજુભાઇ વાળાએ આજે સતત ત્રીજા દિવસે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહની આજના દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતાં.
વિધાનસભા ગૃહની આજે સવારની બેઠકમાં પ્રશ્નોતરી સમયે કોંગ્રેસના ધારાસભ્યને આદિવાસી મહિલા અંગે પુછેલા પ્રશ્ન ક્રમાંક મંત્રીની વિનંતીથી રદ કરવામાં આવતા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ઉભા થઇને આ અંગે મુદો ઉપસ્થિત કરતા અધ્યક્ષ વજુભાઇ વાળાએ તેમને પ્રશ્નોતરીકાળ પુરો થયા પછી મુદો ઉપસ્થિત કરવાનું કહ્યું હતું ત્યારે કોંગ્રેસના સભ્યોએ ઉભા થઇને હોબાળો કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યોએ ન્યાય આપો ભાઇ ન્યાય આપોના સુત્રોચ્ચાર શરૂ કર્યો હતો. આ તબક્કે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયા અને ડો.તેજશ્રીબેન પટેલ ગૃહના વેલમાં આવીને ધરણા પર બેસી ગયા હતાં અધ્યક્ષે તેમને બેઠક પર પાછા જવા કરેલી વિનંતી કાને નહી ધરતા ધરણા ચાલુ રાખ્યા હતાં.
ગૃહમાં અનીલ જોશીયારા, અશ્વિન કોટવાલ સહિતના ધારાસભ્યોએ વેલમાં ઘસી આવી પ્લેકાર્ડ દર્શાવી દેખાવો કરતા અધ્યક્ષે તમામને બહાર જવાનું કહયું હતું પરંતુ અધ્યક્ષનો આદેશ અવગણીને કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં સુત્રોચ્ચાર ચાલુ રાખતા અધ્યક્ષે વેલમાં આવેલા કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહની એક દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે કોંગ્રેસના બાકીના સભ્યોએ પોતાની બેઠક પરથી ઉભા થઇને સુત્રોચ્ચાર કરતા અધ્યક્ષ વજુભાઇ વાળાએ પોતાની સીટ પર બેઠેલા વિપક્ષના નેતા સિવાય કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગૃહની આજના દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરતા વિધાનસભાના સાર્જન્ટોએ વેલમાં ધરણા કરતા કોંગ્રેસના ધારાસભ્યોનો હાથ જાલીને ગૃહની બહાર લઇ ગયા હતા.
થોડી મિનીટોમાં પોતાની બેઠક ઉપર સુત્રોચ્ચાર કરી રહેલા સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના ધારાસભ્યો વિપક્ષના નેતા શકંરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ સુત્રોચ્ચાર કરતા ગૃહની બહાર ગયા હતાં. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના 40 ધારાસભ્યો સાથે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પણ ગૃહની બહાર ચાલ્યા જતા ગૃહમાં વિપક્ષની સંપુર્ણ ગેરહાજરીમાં પ્રશ્નોતરીની કાર્યવાહી ફરીથી અધ્યક્ષે આગળ વધારી હતી.