Gujarat Assembly Election 2022 : આ ધારાસભ્યને ભાજપે ન આપી ટીકિટ, તો AAP માં જોડાઇ ગયા
Gujarat Assembly Election 2022 : ગુજરાતના ખેડા જિલ્લામાં માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા. જે બાદ તેમને ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા ટીકિટ આપવામાં આવી ન હતી.
Gujarat Assembly Election 2022 : ગુજરાતના ખેડા જિલ્લામાં માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા. જે બાદ તેમને ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા ટીકિટ આપવામાં આવી ન હતી. જે કારણે તેમને ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કેસરીસિંહ સોલંકીએ કે જેમણે બે વાર માતર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીતી છે, તેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.
ગોપાલ ઇટાલિયાએ ગુરુવારની મોડી રાત્રે એક તસવીર ટ્વીટ કરી છે, જેમાં ગોપાલ ઇટાલિયા કેસરીસિંહ સોલંકીને આવકારતા જોવા મળે છે. આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, માતર વિધાનસભાના લોકપ્રિય, મહેનતુ, નીડર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીજી, અરવિંદ કેજરીવાલની પ્રામાણિક રાજનીતિથી પ્રેરિત થઈને આદમી પાર્ટીમાં જોડાયા છે. I કેસરી સિંહ જીનું આમ આદમી પાર્ટીમાં દિલથી સ્વાગત છે. અમે સાથે મળીને ગુજરાતમાં એક પ્રામાણિક સરકાર બનાવીશું.
રાજ્યની ચૂંટણી માટે ગુરુવારના રોજ 160 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડનારા શાસક ભાજપે માતર બેઠક માટે કલ્પેશ પરમારને તેના ઉમેદવાર તરીકે નામ આપ્યું છે, જેનું પ્રતિનિધિત્વ 2014 અને 2017માં કેસરીસિંહ સોલંકીએ કર્યું હતું. વર્ષ 2014 માં તત્કાલિન ધારાસભ્ય દેવુસિંહ ચૌહાણ લોકસભા ચૂંટણી જીત્યા બાદ કેસરીસિંહ સોલંકી આ બેઠક પરથી પેટાચૂંટણી જીત્યા હતા. ચૌહાણ હાલમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી છે.
કેસરીસિંહ સોલંકીએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પણ ભાજપની ટિકિટ પર જીતી હતી. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP) પહેલા જ મહિપત સિંહ ચૌહાણને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. હવે પક્ષપલટુ કેસરીસિંહને ટીકિટ નહીં મળે, તો તે કઇ પાર્ટીમાં જોડાશે, તે જોવું રહ્યું.
રાજ્યમાં બે તબક્કે યોજાશે મતદાન
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે. જે બાદ 8મી ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભા સીટો છે. કુલ વિધાનસભા મતવિસ્તારોમાંથી, પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.
ઇસુદાન છે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ ટીવી એન્કર અને પત્રકાર ઇસુદાન ગઢવીને આવતા મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.