Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે PM પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
આ સામે ભાજપની દલીલ છે કે, ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન થયું નથી. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ મતદારોને માત્ર વોટ કરવાની અપીલ કરી હતી.
કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી હજૂ પણ પ્રચાર કરી રહ્યા છે. તે કલાકો સુધી મીડિયામાં રહેવા માંગે છે.
ગુજરાતમાં ભાજપની સત્તા છીનવાઇ રહી છે, તેથી તેઓ મતદાન કરવાને બદલે પ્રચારમાં વ્યસ્ત છે. રાજ્યમાં મતદાનને ધ્યાનમાં રાખીને આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ રીતે રસ્તા પર ઉતરવું એ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે જ ભાજપે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, તેમણે જેટલો પ્રચાર કરવાનો હતો તેટલો પ્રચાર કર્યો છે. જો કોઈ નિયમોનું સૌથી વધુ પાલન કર્યું છે, તો તે ફક્ત વડાપ્રધાન મોદી છે.
મોટા ભાઈના ઘરે ગયા વડાપ્રધાન મોદી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં PM મોદીએ અમદાવાદમાં પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન મોદી-મોદીના નારા લગાવતા ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા. તેમણે લોકોનો આભાર માન્યો અને લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેમણે લોકશાહીના તહેવાર માટે મતદારો અને ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. જે બાદ તેઓ મતદાન મથક પાસે તેમના મોટા ભાઈ સોમા મોદીના ઘરે ગયા હતા.