બેઠક સારી રહી, પરંતુ પરિણામલક્ષી નહીં: હાર્દિક પટેલ
પાટીદાર આગેવાનો અને ગુજરાતની ભાજપ સરકાર વચ્ચેની બેઠક અંગે મહત્વની જાણકારી મેળવો અહીં...
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલન મામલે મંગળવારે રાજ્યની ભાજપ સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાટીદાર સમાજની 6 મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ, આગેવાનો અને પાસના કન્વીનર હાર્દિક પટેલ હાજર રહ્યાં હતા. આ બેઠક પહેલાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર નહીં રહે.
બેઠક પરિણામલક્ષી નહીં: હાર્દિક
આ બેઠકમાં સરકારે કરેલ રજૂઆતથી પાટીદારોને સંતોષ થયો નથી. સરકારના મતે આ બેઠક સફળ થઇ છે, જ્યારે પાટીદારો આ બેઠકની નિષ્ફળ ગણાવી રહ્યાં છે. બેઠક દરમિયાન જ 'ભાજપ હાય હાય'ના નારા સાથે પાટીદાર આગેવાનો બહાર નીકળી ગયા હતા, જો કે બેઠક બાદની પત્રકાર પરિષદમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. સરકારે જરૂરિયાતમંદ પાટીદારો માટે સવર્ણ આયોગની રચાની જાહેરાત કરી હતી. આ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, સરકારનો આયોગ બનાવવાનો નિર્ણય આવકારદાયક છે. અનામત માટે આંદોલન ચાલુ રહેશે. બેઠક અંગે તેમણે કહ્યું કે, મુલાકાત સારી રહી, પરંતુ પરિણામ લક્ષી નહી.
મુખ્ય 4 મુદ્દાઓ પર ચર્ચા
આ બેઠકમાં અનામત અંગે ચર્ચા નહોતી થઇ. બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં નીતિન પટેલે સવર્ણ આયોગની રચનાની જાહેરાત સાથે જ જણાવ્યું હતું કે, આવતીકાલની(બુધવારની) કેબિનેટ બેઠકમાં જ આયોગ રચનાના નિર્ણયને બહાલી અપાશે. તેમણે કહ્યું હતું કે, સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચેની બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં પાટીદારો દ્વારા રજૂ કરવામાં આવેલ 4 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી, આયોગની રચના, પાટીદારો પરના કેસ પરત ખેંચવા, શહીદોના પરિવારજનોને સહાય અને શહીદોના પરિવારમાં જરૂરિયાત અને લાયકાત ધરાવતા લોકોને નોકરીની સહાય.
આ બેઠકમાં લેવાયેલ 4 મુખ્ય નિર્ણયો
- બિન અનામત જ્ઞાતિ સમાજ આયોગની રચના કરવામાં આવશે, જે અંતર્ગત શિક્ષણ, ધંધા તથા અન્ય પ્રકારની સહાયતા આપવામાં આવશે.
- પાટીદાર સમાજ સામે થયેલ તમામ કેસો પરત ખેંચવામાં આવશે.
- આંદોલન દરમિયાન પાટીદાર સમાજના શહીદ થયેલના પરિવારજનોને નોકરી તથા રોજગારી આપવામાં આવશે.
- શહીદોના પરિવારજનોને સમાજના અગ્રણીઓ નક્કી કરે એ રકમ આપવામાં આવશે.
|
હાર્દિક પટેલનું ટ્વીટ
જો કે, સરકારે આ બેઠકમાં પાટીદારોની અનામતની માંગણી અને જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણીઓ સ્વીકરી નહોતી. આ બેઠક અંગે ટ્વીટ કરતાં હાર્દિક પટેલે લખ્યું હતું કે, ભાજપ સરકાર પટેલ સમાજને અનામત આપવા માટે તૈયાર નથી, માત્ર સમુદાયને વિભાજિત કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, અમારી લડાઇ ચાલુ રહેશે.