ઓછી આવક છતાં ગુજરાત સરકારે વિકાસના કામો અટકાવ્યા નહિઃ નીતિન પટેલ
નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે કોરોના મહામારીના કારણે આવક ઓછી હોવા છતાં સરકારે ગુજરાતમાં વિકાસના કામોને અટકાવ્યા નથી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં હાલમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ 9મી વાર આર્થિક બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ 2.27 લાખ કરોડનુ બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે કોરોના મહામારીના કારણે આવક ઓછી હોવા છતાં સરકારે ગુજરાતમાં વિકાસના કામોને અટકાવ્યા નથી. કોરોના કાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેન્શન આપવાની કામગીરી ચાલુ રાખી.
તમને જણાવી દઈએ કે ગુજરાતના બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોજની જોગવાઈ કરવામાં આવી છે. ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ માટે 13034 કરોડની જોગવાઈ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર આપવામાં આવશે જ્યારે બીજા વર્ષે 6 હજાર અપાશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી. વળી, ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર મમાટે પાંચ કરોડની જોગવાઈ કરી છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે લોકો તાજમહેલ કરતા સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા માટે વધુ આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રટની નિકાસ વધી. ગુજરાત સરકારે 14 હજાર કરોડનુ આત્મનિર્ભર પેકેજ પણ આપ્યુ.
ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ 2.27 લાખ કરોડનુ બજેટ રજૂ