આવનારા દિવસોમાં વાતાવરણ બગડશે, આવી ગઈ તાજી આગાહી
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઉત્તરાયણ બાદ રાજ્યના વાતાવરણમાં મોટા પલટા અને એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.
વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો, ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાયેલું છે. બીજી તરફ, દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા એક ડીપ ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તોફાન જેવી સ્થિતિ હજુ પણ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18 થી 24 જાન્યુઆરી દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં પશ્ચિમી વિક્ષેપ નીચલા સ્તરે આવતા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ માવઠું થવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ અને સૌરાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં ઠંડીનો વેગ વધશે, અને ક્યારેક સવારે હળવા ધુમ્મસ સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. આ બદલાતા હવામાનને અનુલક્ષીને ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
જાન્યુઆરીના અંતમાં પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ ફરીથી શીતલહેર ફરી વળશે. તેવી જ રીતે, ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
