Photos : ધાનેરા, રાજકોટ, મોરબી ઠેર ઠેર કોંગ્રેસે કર્યો વિરોધ, થઇ અટક
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લામાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધીના કાફલા પર થયેલા પથ્થરમારાના પગલે થયું વિરોધ પ્રદર્શન. પોલીસે કરી અટક.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. ત્યાં બનાસકાંઠાના ધાનેરા ખાતે રાહુલ ગાંધીના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. જેના પ્રતિધાત રૂપે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં રાજ્યના 33 જિલ્લાઓમાં આજે વિરોધ કરવામાં આવ્યો હતો. ધાનેરા ખાતે અર્જૂન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ધાનેરા એસ ડી એમ કચેરી ખાતે ધારણા પર બેઠા હતા. સાથે જ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ધાનેરા પોલીસ મથકની બહાર જ શુક્રવારની આખી રાત વિતાવી હતી.અને ફરિયાદીઓ સામે કડક કલમ લગાવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે રે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધાનેરામાં રાહુલ ગાંધીના કાફલા પર થયેલા પથ્થરમારાની તપાસ સીએમ દ્વારા રાજ્યના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મોહન ઝાને સોંપવામાં આવી છે. સાથે જ પથ્થર મારાના કેસમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી લાલજી દેસાઇએ ચાર લોકોની વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. આ ચાર લોકોના નામ નીચે મુજબ છે.
1. ભગવાન પટેલ, એપીએમસીના ચેરમેન
2. મુકેશ ઠક્કર, અગ્રણી વેપારી
3. મોઢસિંહ રાવ, યુવા ભાજપ પ્રમુખ, ધાનેરા
4. અનિલ દરજી, જિલ્લા ભાજપ મહામંત્રી
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના હાઇવે પર શુક્રવારે સાંજે કોંગ્રેસ દ્વારા વાહનો અને ટાયરો સળગાવવામાં આવ્યા હતા. વધુમાં મહેસાણામાં પીલાજી વિસ્તારમાં ભાજપની ઓફિસ પર પણ કોઇ અજાણ્યા લોકોએ શુક્રવારે મોડી રાતે પથ્થર મારી ઓફિસના કાચ તોડ્યા હતા.
તો બીજી તરફ રાજકોટ અને મોરબીમાં પણ આ ઘટના પછી કોંગ્રેસી નેતાઓએ વિરોધ દર્શાવ્યો હતો. મોરબી ખાતે નહેરૂ ગેટ ચોકમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપના પુતળા દહન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જે બાદ પોલીસે તેમને ઉપાડીને પોલીસ વાહનમાં નાંખ્યા હતા. અને રાજકોટમાં પણ કોંગ્રેસી કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં પોલીસે અટક કરી હતી.