ગુજરાત ગૌરવ દિવસ : મહેતા ટૂ મોદી, વિઘ્નો વચ્ચે આ રીતે વિકસ્યું ગુજરાત
આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસને 53 વર્ષ થયા છે. 53 વર્ષના આ સમયકાળમાં ગુજરાતે અને તેની ખમીરવંતી ગુજરાતી પ્રજાએ અનેક વિઘ્નો એ પછી કુદરતી હોય કે માનવ નિર્મિત પરંતુ એ તમામને સહન કરીને આજે વિશ્વફલક પર ગુજરાત વિકાસનું રોલ મોડલ બની ગયું છે અને ભારતના વિવિધ રાજ્યો સહિત વિવિધ દેશોએ પણ ગુજરાતનું અનુસરણ કરવાની ફરજ ઉભી થઇ છે.
1 મે 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યુ, જીવરાજ મેહતાના નેતૃત્વ હેઠળ ધીમી ગતિએ વિકાસના ટ્રેક પર ચાલી પડેલી ગુજરાતની વિકાસ મોનો રેલ આજે મેટ્રો રેલ બની ગઇ છે, રાજ્યના કોઇ પણ ખુણે આપણે જઇએ ચોક્કસ પણે બદલાયેલા ગુજરાતનો ચહેરો આપણને સ્પષ્ટ પણે જોવા મળે છે મહેતાના શાસનમાં શરૂ થયેલી આ ટ્રેનને આજના મુખ્યમંત્રી અને વિકાસપુરુષની છબી ધરાવતા નરેન્દ્ર મોદીએ જે વેગ આપ્યો છે, તેના કારણે અળખામણું બની ગયેલુ ગુજરાત આજે દેશ-વિદેશનું લાડકવાયુ ગુજરાત બની ગયું છે. જો કે, આ વિકાસ માત્ર એકલ-દોકલ શાસનકર્તાઓના કારણે નથી.
વિકાસની રેલગાડી આગળ ધપાવી રહેલા ગુજરાતે બૃહૃદ મુંબઇમાંથી અલગ થવા માટે પણ મોટી લડત ચલાવી પડી હતી. પહેલા તો ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે મહા ગુજરાત અભિયાન ચલાવ્યું અને ત્યાર બાદ અલગ રાજ્ય થઇ ગયા બાદ અન્ય રાજ્યોની લગોલગ ઉભા રહેવા સક્ષમ બનાવ્યું. અહીંયા ગુજરાતના અત્યારસુધીના સુકાનીઓ કે જેમના સમયકાળ દરમિયાન ગુજરાતે ઓછે-વત્તે અંશે કરેલો વિકાસ અને તેમના સમયગાળા દરમિયાન ઉદ્દભવેલા વિવાદો અંગે આછેરી ઝલક આપવામાં આવી છે. તો ચાલો તસવીરો માધ્યમથી જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
ડો. જીવરાજ મહેતા
ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યા બાદ બહુમતિના કારણે ડો. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા બાદ 73 વર્ષની ઉમરે તેમણે ગુજરાતને દેશના અન્ય રાજ્યોની વચ્ચે એક પોતાનું સ્થાન અપાવવા રાજ્યને વિકાસના પથ પર લઇ જવાનું બીડું ઝડપ્યુ. અલગ રાજ્ય બન્યા પછી વહિવટ કરવો સરળ નહીં હોવા છતાં પણ તેઓએ કુશળ વહિવટ થખી રાજ્યના વહિવટનો પાય સુદ્રઢ બનાવ્યો હતો. રાજ્યની રચના થયાને ત્રણ મહિનાની અંદર જ તેમણે રાજ્યનું સચિવાલય, ધારાસભાગૃહ, રાજ્યના વહીવટી આવાસ-નિવાસો ઉભા કરવાનું કાર્ય પાર પાડ્યુ હતુ. તેમજ ગુજરાતના પ્રશ્નોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને ખેતી, સિંચાઇ, વીજળી, રસ્તાઓની ઉણપને દૂર કરવાની દિશામાં પગલા ભર્યા. રાજ્યમાં સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની વડોદરામાં સ્થાપના, અમદાવાદમાં વિશ્વપ્રખ્યાત સિવિલ હોસ્પિટલનું બાંધકામ, રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની રચના, દારુબંધી અને વિધાનસભામાં પંચાયત ધારો પસાર કરાવ્યો. તેમજ નવી રાજધાની અંગે ગહન ચર્ચા કર્યા બાદ ગાંધીનગરની સ્થાપના કરવાની યોજના બનાવી હતી.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા દ્વારા મુખ્યમંત્રી પદનો ત્યાગ કરવામાં આવ્યા બાદ બળવંત રાય મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તેમણે પણ ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખીને પહેલા મુખ્યમંત્રી દ્વારા જે વિકાસયાત્રાને શરૂ કરી હતી તેને આગળ વધારી અને ધુવારણ વીજ મથક, ઔદ્યોગિક વસાહતો અને કોયલી રિફાયનરીની સ્થાપના ગુજરાતમાં કરી. ઉપરાંત રાજ્યમાં ભારતીય વિદ્યા ભવન સ્થાપ્યું. દેશમાં પંચાયતી રાજ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
હિતેન્દ્ર દેસાઇ
બળવંત રાય મહેતાની પાકિસ્તાની ફાઇટર પ્લેન દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્ર દેસાઇની પસંદગી કરવામાં આવી. તેઓ જ્યાં સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યાં ત્યાં સુધી તેમણે સતત ગુજરાતના વિકાસની દિશામાં વિશેષ ધ્યાન આપ્યું. રાજ્યના પછાત વર્ગના લોકો આગળ આવે તે માટે વિકાસશીલ યોજનાઓ બનાવી. જમીન સુધારણા અને સમાજ કલ્યાણ અંગે યોજના, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ, મફતમાં છાત્રાલયની સુવિધા ઉપરાંત સહકાર અને સિંચાઇના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
ઘનશ્યામભાઇ ઓઝા
ઘનશ્યામભાઇ છોટાલાલ ઓઝાએ મુખ્યમંત્રી બન્યા બાદ અનેક વિકાસલક્ષી અને સુધારાલક્ષી પગલાં ભર્યા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ વિધેયક લાગુ કરવામાં આવ્યું. ખાનગી શિક્ષણસંસ્થાઓના સંચાલનમાં પણ તેઓએ મોટા ફેરફાર કરવામાં આવ્યા. તેમણે ગુજરાતમાં આદિજાતી વિકાસ કોર્પોરેશનનો પણ પ્રારંભ કર્યો.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
ચીમનભાઇ પટેલ
ઘનશ્યામભાઇ ઓઝાના સ્થાને ચીમનભાઇ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમણે ગુજરાતમાં ઘણા પરિવર્તન કર્યા. તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા ડેમ પ્રોજેક્ટના પાયા નંખાયા. તેઓ નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી સમાન ગણતા હતા. તેઓ ગુજરાતને મોર્ડન ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ બનાવવા માંગતા હતા. તેમણે નયા ગુજરાતનું સ્પપ્ન સાકાર કરવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. જો કે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
બાબુભાઇ પટેલ
બાબુભાઇ પટેલ 1975થી 1976 સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ તેઓ ફરી 1977માં મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યાં હતા. જેમાં તેમણે ગુજરાતમાં ગ્રામ વિકાસ, આદિવાસી વિસ્તારોનો વિકાસ, ખેડૂતોના દેવાનો પ્રશ્ન, ઉદ્યોગોનું આયોજન, માતૃભાષામાં વહિવટ અને અંત્યોદય જેવી યોજનાઓ લાવી ગુજરાતની જનતાના લાભને ધ્યાનમાં રાખ્યો હતો.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
માધવસિંહ સોલંકી
કટોકટી દરમિયાન માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યાં. તેઓના કાર્યકાળ દરમિયાન ગુજરાતે અવિરતપણે વિકાસની ગાથા લખી હતી. જેમા ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઇ, કુટુંબપોથી અને કન્યા કેળવણી મફત જેવા મહત્વના સુધારા લાવ્યા આવ્યા હતા.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
અમરસિંહ ચૌધરી
અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. તેઓએ 1985થી 1989 સુધી આખી ટર્મ પુરી કરી હતી. તેઓએ રાજ્યના રાજકારણમાં પોતાની એક આગવી છાપ છોડી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કૃષિ, ઔધોગિક ક્ષેત્રે સારો એવો વિકાસ નોંધાયો હતો.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
કેશુભાઇ પટેલ
ગુજરાતના રાજકારણમાં પરિવર્તનની આંધી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે આવી. તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી હતા અને પહેલીવાર ગુજરાતમાં નોન કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવી.તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે સારો એવો વિકાસ નોંધાવ્યો હતો. જેમાં નર્મદા ડેમ, વોટર રિસોર્સ, લોક કાર્યો, ગરીબો માટે ગોકુળ ગામ, ગુજરાત ઇન્ફો ટેક્નોલોજી જેવા વિકાસના કાર્યો છે.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
શંકરસિંહ વાઘેલા
કેશુભાઇ વિરૂદ્ધ બળવો પોકારી એક અલગ પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવ્યો હતો અને શંકરસિંહ વાઘેલા રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં નવા જિલ્લા, તાલુકા, જિલ્લાઓની પૂન:રચના કરવામાં આવી હતી. તેઓએ ગુજરાતની અશ્મિતામાં વિશેષ રસ દાખવ્યો હતો.
જાણીએ કેવી રીતે વિઘ્નો વચ્ચે વિકસ્યું ગુજરાત
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી, નામનો ઉલ્લેખ થતાની સાથે જ વિકાસના પથ પર હરણફાળ ભરનાર ગુજરાતની છબી લોકોની આખો સમક્ષ તરવરવા લાગે છે. તેમણે ગુજરાતનો જે ગતિએ વિકાસ કર્યો છે, તેને લઇને તેઓ વિશ્વફલક પર એક વિકાસપુરુષ તરીકે જાણીતા બન્યા છે. ભૂકંપ બાદ રાજ્યમાં અને ગુજરાત ભાજપમાં સ્થિરતા લાવવા માટેની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી. જે કામ તેઓએ સકુશળ કર્યું અને 2001થી અત્યાર સુધી ભાજપે તેમના નેતૃત્વ હેઠળ સારી રીતે કાર્ય કર્યું છે અને ગુજરાતે અવરિતપણે વિકાસ નોંધાવ્યો છે, તેમને પ્રયાસોના કારણે જ આજે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે આતુર બની છે.
મોદીના સમયગાળા દરમિયાન ગુજરાતે અનેક વિકાસશીલ કાર્યો કર્યા છે. જેમાં જળસિંચાઇ, નાના ગામડાઓનું શહેરીકરણ, જ્યોતિગ્રામ યોજના, નાના ગામડાઓનું મોટા શહેરો સાથે જોડાણ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદમાં બીઆરટીએસ, ઇન્ફોસિટી, નોલેજ સિટી, દરિયાકાંઠાના વિસ્તારોનો વિકાસ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી અન્ય રાજ્યો અને દેશોમાંથી મોટા ઉદ્યોગપતિઓને ગુજરાત તરફ આકર્ષ્યા, રોજગારીનો વ્યાપ વધાર્યો, નવા જિલ્લા, તાલુકાઓની રચના કરી. તેમણે સ્વરાજ્ય નહીં સુરાજ્યનું સૂત્ર વહેતુ મુક્યું, તેમણે ગુડ ગવર્નમેન્ટ નહીં ગુડ ગવર્નન્સ થકી વિકાસ કેવી રીતે થાય તે આજે ભારત અને અમેરિકા સહિતના રાષ્ટ્રોને શિખવ્યું છે.