શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગઃ સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓને કરાવશે અભ્યાસ
કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે અને શિક્ષણકાર્ય ઠપ્પ થઇ ગયુ છે. ત્યારે, વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે અને શિક્ષણકાર્ય ઠપ્પ થઇ ગયુ છે. ત્યારે, વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. દર શનિવારે ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે અઠવાડિક લર્નિંગ મટીરીયલ અંતર્ગત જરૂરી સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવશે.
CRC-BRC દ્વારા અભ્યાસ સામગ્રી થશે ઉપલબ્ધ
રાજ્યના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર, બ્લોક કો-ઓર્ડિનેટર દ્વારા વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને આ અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓના માર્ગદર્શન સાથે તેનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. આ સાહિત્યના ઉપયોગથી રજાઓના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળી રહેશે. ૨૮ માર્ચથી શરૂ કરી આગામી દિવસોમાં દર શનિવારે આ weekly લર્નિંગ મટીરીયલ પુરુ પાડવામાં આવશે. જે શનિવારે આ સાહિત્ય આપવામાં આવશે તેના પછીના શનિવાર સુધીમાં તેનું તમામ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો રહેશે, જેના કારણે આગળના શનિવારના અભ્યાસમાં આગળ વધી શકાય.
વાલીઓ કાળજી રાખીને બાળકોને કરાવી શકશે તૈયારી
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓને આ દિવસોમાં ઘરે બેઠા શૈક્ષણિક અભ્યાસની તક મળી રહેવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં એટલે કે જૂન 2020 થી બાળક જે ધોરણ માં આવવાનું છે તે ધોરણ મુજબ નું સાહિત્ય અને તેનો અભ્યાસ અત્યારથી જ થઈ ગયો હોવાથી આગામી સમયમાં તે નવા ધોરણમાં વિદ્યાર્થી સરળતાથી જોડાઈ શકશે. અભ્યાસના આ સમયમાં વાલી પોતાના સંતાનોને સંપૂર્ણ સહયોગ આપે તેવી શિક્ષણ મંત્રીએ વાલીઓને પણ અપીલ કરી છે .વાલીઓ ઉપરાંત શિક્ષક સમુદાય પણ આ અંગે નેતૃત્વ લઇને વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત વાલીઓ તથા બાળકોને માર્ગદર્શન આપશે અને આ સૌના સહકારથી રાજ્યના પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નું ભણતર ખૂબ જ આગળ વધે તેવા પ્રયાસો કરવામાં આવશે.
ટીવી ચેનલના માધ્યમથી કરાઇ રહ્યો છે અભ્યાસ
હાલમાં ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સોશિયલ મીડિયા- વોટ્સએપના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી ધોરણ 1 થી 10 ના પાઠ્યપુસ્તકની બુક આપવાનો પણ પ્રયાસ કરાયો છે. જે પાઠ્યપુસ્તકો રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ત્યારે, હવે weekly લર્નિંગ મટિરિયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ અભ્યાસની તક મળી રહેશે અને વિદ્યાર્થીઓને સમય અને વર્ષ વેડફાશે નહી. આગલા ધોરણમાં પ્રવેશ મેળવી શકશે.
આ પણ વાંચો: કોરોના: સોમનાથ-અંબાજી મંદીરે કર્યું એક-એક કરોડનું દાન