આજથી અમિત શાહ ગુજરાતની પાંચ દિવસીય મુલાકાતે
અમિત શાહ આજથી ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે છે જ્યાં તેઓ ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રાની શરૂઆત કરશે. આ અંગે વધુ જાણો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક નેતા જાય છે અને બીજો નેતા ગુજરાતની મુલાકાતે આવી જાય છે. રાહુલ ગાંધી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારથી ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે છે. જ્યાં તેઓ કચ્છના ગાંધીધામ પર પત્રકાર પરિષદ સંબોધી ભાજપના પ્રચાર પ્રસારને આગળ વધારશે. અમિત શાહ તેમની આ પાંચ દિવસની મુલાકાતમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે આ દરમિયાન શુક્રવારે અમદાવાદ ખાતે વી.સતીશજીએ ગૌરવ સંપર્ક યાત્રાના સંદર્ભમાં અમદાવાદ મહાનગરના ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ધારાસભ્યો,શહેરના કોર્પોરેટર્સ તેમજ શહેર સંગઠનના પદાધિકારીઓ તેમજ વાલી અને પ્રભારી સાથે મહત્વની બેઠક આયોજિત કરી હતી. આ અંગે પ્રવક્તા આઇ.કે જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદની ૧૬ બેઠકો પર ભાજપાનો વિજય કેવી રીતે થાય તે માટે ચૂંટણીલક્ષી બારિક વિગતોને ધ્યાને રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં અમિત શાહ તેમના આ પ્રવાસ દરમિયાન ૭ નવેમ્બરે ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રાની પણ શરૂઆત કરશે. જે ૧૨ નવેમ્બર સુધી ચાલશે. અને તેમાં ભાજપના અન્ય મોટા નેતાઓ પણ એક પછી એક જોડાઇને લોકોથી જનસંપર્ક વધારવા અને ભાજપ સરકારના કાર્યોનું પ્રચાર કરવાનું કામ કરશે. આમ રાહુલ ગાંધી પછી અમિત શાહ તેમની આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલના સવાલોનો જવાબ આપશે. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન પછી ભાજપનું લોકો સાથે જનસંપર્ક કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. ત્યારે અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રા કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.