ઘાટલોડિયામાં આનંદીબેનની જગ્યાએથી અનાર પટેલ લડી શકે છે ચૂંટણી
ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઘાટલોડિયા સીટ પરથી તેમની પુત્રી અનાર પટેલ આવનારી ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવનાઓ સામે આવી છે. જાણો આ ખબર અંગે વિતગવાર અહીં
ભાજપના વરિષ્ઠ નેતા આનંદીબેને તેમના 75માં જન્મદિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી ભાજપના નવા નિયમો મુજબ રાજીનામું આપી દીધું. હવે તે પાર્ટીમાં સેવા આપે છે. પણ આજે પણ ગુજરાતના પહેલા મહિલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલનો દબદબો પાર્ટીમાં તેવો જ જોવા મળી રહ્યો છે. ત્યારે જ્યાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બેનની ઘાટલોડિયાની સીટ કોના ફાળે જશે તે મામલે ચર્ચા શરૂ થઇ છે. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલે અમદાવાદના ઘાટલોડિયા મતક્ષેત્રના ધારાસભ્ય છે. હવે આવનારી ચૂંટણીમાં તેમની આ સીટ પર તેમની દિકરી અનાર પટેલ ચૂંટણી લડશે તેવી સંભાવનાઓ પ્રબળ થવા લાગી છે. પહેલા તેવી ચર્ચા હતી કે અનારને વડોદરાની સીટ પર ઉતારવામાં આવે. પણ હવે તે અનારને ઘાટલોડિયામાંથી જ ચૂંટણી લડાવાશે તેવી જાણકારી અંદર ખાને મળી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ માટે ઘાટલોડિયાની આ બેઠક એક સલામત બેઠક મનાય છે. બેનના ગયા પછી ભાજપના અનેક નેતાઓની આ સીટ પર નજર છે. જો કે અનાાર પટેલ પહેલા રાજકારણમાં ક્યારેય ન ઉતરવાનું કહી ચૂક્યા છે. પણ સુત્રોથી જે વાત જાણવા મળી છે તે મુજબ આનંદીબેનની ઇચ્છા છે કે અનાર આ વખતે ચૂંટણીમાં ઘાટલોડિયાની તેમની જૂની અને પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા હજી ઉમેદવારોના નામ જાહેર નથી થયા. અને સંભવિત નામોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે. જેમાં અનારનું નામ પણ ઘાટલોડિયા સીટ માટે સૂચન કરવામાં આવ્યું છે તેવી સુત્રોથી જાણવા મળ્યું છે.