આનંદીબેનની બેઠક પરથી BJPએ આમને આપી છે ટિકિટ
ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભૂપેન્દ્ર પટેલને આપી ટિકિટઆનંદીબેન પટેલની હાજરીમાં ભર્યું ઉમેદવારી પત્રઆ અંગે વધુ વાંચો અહીં..
ચૂંટણી તારીખો જાહેર થાય એ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ વખતે મેદાનમાં ન ઉતરવાનો નિર્ણય લીધો હતો અને તેમણે આ અંગે હાઇકમાન્ડને પત્ર પણ સોંપ્યો હતો. ત્યાર બાદ હલકી હલકી આશા સેવાઇ રહી હતી કે, આનંદીબેન પટેલની બેઠક ઘાટલોડિયા પરથી તેમની પુત્રી અનાર પટેલને ટિકિટ મળી શકે છે. પરંતુ એ વાત પણ અફવા સાબિત થઇ હતી. સોમવારે સવારે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની છઠ્ઠી અને છેલ્લી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં આનંદીબેન પટેલની બેઠક પર ભાજપે આ વખતે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.
ભૂપેન્દ્ર પટેલે સોમવારે આનંદીબેનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોવા મળ્યા હતા. ઘાટલોડિયાથી રેલી કાઢી તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનની ગુડ બૂક્સમાં કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને આ બેઠક પર ભાજપનો સૌથી વિશ્વાસુ ચહેરો હતા આનંદીબેન પટેલ. આથી આ વખતે આનંદીબેને ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા આ બેઠક અંગે ખાસી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અનેક ચર્ચા-વિચારણાના અંતે ભાજપે આખરે ભૂપેન્દ્ર પટેલની ટિકિટ આપી હતી. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન છે.